છઠ મહાપર્વનો આજે ત્રીજો દિવસ છે. આજે આથમતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. પટનાથી લઇને દિલ્હી સુધી છઠ પૂજાને લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઘાટોને સજાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં યમુના નદી પર વાસુદેવ ઘાટ ખાતે છઠ પૂજામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લઈ શકે છે તેવા અહેવાલ છે. ઘાટની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


છઠ પર્વની ઠેર ઠેર ઉજવણી

મહત્વનું છે કે છઠ ઉત્સવનો છેલ્લો દિવસ મંગળવારે છે. ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ બાદ છઠ્ઠ પૂજા સમાપ્ત થશે. આજે છઠ પર્વનો ત્રીજો દિવસ છે ત્યારે વિવિધ રાજ્યોમાં અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના જુહુ બીચ પર મોટી સંખ્યામાં ભક્તો છઠની ઉજવણી માટે આજે ભેગા થશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. લખનૌમાં ગોમતી નદીના કિનારે ઉત્સવનો માહોલ છે. સીએમ યોગી આજે લખનૌમાં છઠ મહાપર્વ મેળાનું ઉદ્ઘાટન કરશે.

દિલ્હી-એનસીઆરમાં છઠ ઉત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવી રહ્યો છે. બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં લાખો મહિલાઓ પાણી વગર ઉપવાસ કરી રહી છે અને છઠી મૈયાની પૂજા કરી રહી છે.

મન કી બાત કાર્યક્રમમાં છઠ પૂજાનો ઉલ્લેખ

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ રવિવારે તેમના મન કી બાત કાર્યક્રમમાં છઠને સામાજિક સંવાદિતાનું સૌથી સુંદર ઉદાહરણ ગણાવ્યું અને તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું હતું કે તમે દેશમાં કે દુનિયામાં ગમે ત્યાં રહો, છઠ ઉત્સવમાં જોડાઓ અને તેના અનોખા અનુભવનો આનંદ માણો.


  • Follow us on: