દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીના પિતા પર હુમલો કર્યાના આરોપમાં કાર્યકર સ્વતંત્ર ભારદ્વાજને દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી કસ્ટડીમાં લીધો હોવાની માહિતી સામે આવી છે. આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે CJPના નેતાઓ અને કાર્યકરોએ શુક્રવારે દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પ્રદર્શન બાદ પોલીસે 72 કલાકની અંદર સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. માહિતી મુજબ, કસ્ટડીમાં લીધા બાદ આરોપીને બુલંદશહેરના ચોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઇન્ટરવ્યૂ વાયરલ થતાં મામલો ગરમાયો

આ સમગ્ર વિવાદ સ્વતંત્ર ભારદ્વાજના એક ઇન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયા બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં તેણે જુલાઈ મહિનામાં જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કર્યાનો દાવો કર્યો હોવાનું જણાવાયું છે.

 પહોંચના કારણે જેલ ન જવું પડ્યું હોવાનો દાવો 

વાયરલ વીડિયોમાં રાજકીય પહોંચના કારણે જેલ ન જવું પડ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ વીડિયો વાયરલ થતાં CJP સમર્થકો અને દલિત કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સંસદ માર્ગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ

આરોપી સામે કડક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ વિરોધમાં CJPના સહ-સંયોજકો સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. 

આરોપીની પૂછપરછ શરુ

પોલીસ દ્વારા હવે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલાની ઘટના, વાયરલ ઇન્ટરવ્યૂ અને આરોપી દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ બાદ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.  


આ પણ વાંચો  :    Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ