ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની પાંચમી વાર ધમકી આપવામાં આવી છે. SGPC એટલે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. જે બાદ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. અને પોલીસ તપાસ શરુ કરાઇ છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરજિંદર સિંહ ધામીએ અગાઉ જણાવ્યુ હતુ કે, ધમકીભર્યા ઇમેઇલ્સ પર ગંભીર ચિંતા વ્યક્ત કરાઇ છે.


ઇમેઇલમાં ભગવંત માનનો પણ ઉલ્લેખ

પાંચમા ઇમેઇલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો પણ ઉલ્લેખ છે. હરજિંદર સિંહ ધામીએ કહ્યું કે આ કાર્યવાહીઓ શ્રી દરબાર સાહિબમાં આવતા ભક્તોને ડરાવવા અને તેમની સંખ્યા ઘટાડવાનું કાવતરું હોઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સરકારે આ ઇમેઇલ્સ કયા સર્વર અને આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. સરકાર પાસે બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે. જો સરકાર ઇચ્છે તો તે ખૂબ જ ટૂંક સમયમાં આનો ખુલાસો કરી શકે છે અને આરોપીઓને પણ શોધી શકે છે. ધામીએ કહ્યું કે "ઇતિહાસમાં પણ સચખંડ શ્રી હરમંદિર સાહિબ પર હુમલા થયા છે. પરંતુ શીખ સમુદાયે હંમેશા તેને પોતાની શ્રદ્ધાથી બનાવ્યું છે.

સરકાર આ મામલે લે ગંભીર પગલાં

ધામીએ કહ્યું કે, સ્વતંત્ર ભારતમાં પણ જો આવી ધમકીઓ મળે છે. તો તે ગંભીર બાબત છે અને સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. તેમણે કહ્યું કે સચખંડ શ્રી હરમંદિર સાહિબ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. સરકારે ફક્ત જોવા માટે નહીં પણ કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર તેના સ્તરે કામ કરી રહી છે. પરંતુ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ તેની ટાસ્ક ફોર્સ વધારી છે અને સંપૂર્ણપણે સતર્ક છે. ધામીએ ભાર મૂક્યો જો કોઈ ધાર્મિક કે સંસ્થાકીય રીતે સંબંધિત વ્યક્તિને હેરાન કરવામાં આવે છે. તો સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જો કોઈ ધમકીઓ કે નકલી આઈડી દ્વારા કામ કરી રહ્યું છે. તો પોલીસ અને સાયબર એજન્સીઓએ તાત્કાલિક અને ગંભીર પગલાં લેવા જોઈએ. 

  • Follow us on: