અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ટેક-ઓફ થયા બાદ તુરંત જ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોના મોત નિપજ્યા હતા. હવે આ કેસમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે, આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ થવાની આશા છે, અને ઓક્ટોબર 2026 સુધીમાં તેનો 'ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ' તૈયાર થઈ જશે.

પાયલોટ પર દોષારોપણની અફવાઓથી તપાસ પ્રભાવિત

સુપ્રીમ કોર્ટમાં આગામી 17 જુલાઈના રોજ થનારી સુનાવણી પહેલા ફાઇલ કરાયેલા સોગંદનામામાં AAIBના ડિરેક્ટર જનરલે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય નિયમો (ICAO) મુજબ આ ડ્રાફ્ટ રિપોર્ટ પહેલા અમેરિકાની એજન્સી NTSB સાથે શેર કરવામાં આવશે. બ્યુરોએ કોર્ટને એ પણ જણાવ્યું કે, મીડિયામાં ચાલી રહેલી અટકળો અને પાયલોટોને દોષી ઠેરવવાના નેરેટિવના કારણે કેટલાક મહત્વના સાક્ષીઓ નિવેદન આપવામાં આનાકાની કરી રહ્યા છે, અને ઓછો સહકાર આપી રહ્યા છે, જે તપાસને અસર કરી રહ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2077365899133386993

સમાંતર તપાસની માગનો વિરોધ અને કોકપિટ રેકોર્ડિંગ ગુપ્ત રહેશે

અરજદારો દ્વારા આ અકસ્માતની સ્વતંત્ર કે કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગનો બ્યુરોએ સખત વિરોધ કર્યો છે. AAIBએ સ્પષ્ટ કર્યું છે કે, તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ જ થઈ રહી છે, તેથી કોઈ સમાંતર તપાસની જરૂર નથી. આ ઉપરાંત, કોકપિટ વોઇસ રેકોર્ડર અને અન્ય ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ જાહેર કરવાનો પણ ઈનકાર કરાયો છે, કારણ કે કાયદા મુજબ તેને સાર્વજનિક કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ તપાસનો હેતુ કોઈને દોષી સાબિત કરવાનો નથી પરંતુ ભવિષ્યની સુરક્ષા સુધારવાનો છે.


આ પણ વાંચો - Ahmedabad News: AMCની ઉસ્માનપુરા કચેરીમાં જ ફાયર સેફ્ટીના ધજાગરા, 4 મહિનાથી એક્સપાયર્ડ બોટલો લટકતી રહી