અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ટેક-ઓફ થયા બાદ તુરંત જ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોના મોત નિપજ્યા હતા. હવે આ કેસમાં એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ સુપ્રીમ કોર્ટને માહિતી આપી છે કે, આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ થવાની આશા છે, અને ઓક્ટોબર 2026 સુધીમાં તેનો 'ડ્રાફ્ટ ફાઇનલ રિપોર્ટ' તૈયાર થઈ જશે.
પાયલોટ પર દોષારોપણની અફવાઓથી તપાસ પ્રભાવિત
સુપ્રીમ કોર્ટમાં આગામી 17 જુલાઈના રોજ થનારી સુનાવણી પહેલા ફાઇલ કરાયેલા સોગંદનામામાં AAIBના ડિરેક્ટર જનરલે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય નિયમો (ICAO) મુજબ આ ડ્રાફ્ટ રિપોર્ટ પહેલા અમેરિકાની એજન્સી NTSB સાથે શેર કરવામાં આવશે. બ્યુરોએ કોર્ટને એ પણ જણાવ્યું કે, મીડિયામાં ચાલી રહેલી અટકળો અને પાયલોટોને દોષી ઠેરવવાના નેરેટિવના કારણે કેટલાક મહત્વના સાક્ષીઓ નિવેદન આપવામાં આનાકાની કરી રહ્યા છે, અને ઓછો સહકાર આપી રહ્યા છે, જે તપાસને અસર કરી રહ્યું છે.
