દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી (NEET-UG) સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી દેશભરના વિવિધ કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે યોજાઈ હતી. દેશભરમાં RE-NEET પરીક્ષાનું આયોજન થયું હતું, ત્યારે ગુજરાતમાંથી પણ 77,000 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ શહેરોમાંથી પરીક્ષા આપી છે. અમદાવાદમાં RE-NEETની પરીક્ષા 23 કેન્દ્ર પર યોજાઈ હતી. 


NTAએ વિશેષ તૈયારીઓ કરી હતી

પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્સુકતા અને ચિંતા જોવા મળી હતી, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો શેર કર્યા અને પ્રશ્નપત્ર અંગે પ્રતિસાદ આપ્યો. 3 મેના રોજ યોજાયેલી અગાઉની પરીક્ષા પેપર લીકના વિવાદને કારણે રદ કરવામાં આવી હતી, જેના પછી નવી તારીખ જાહેર કરીને ફરી પરીક્ષા લેવામાં આવી. આ વખતે પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વિશેષ તૈયારીઓ કરી હતી. 20 જૂને દેશભરમાં મૉક ડ્રિલ યોજાઈ હતી અને નકલ રોકવા માટે 51 હજારથી વધુ જામર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

જમ્મુ-કાશ્મીરની એક વિદ્યાર્થીનીએ પરીક્ષા પૂર્ણ થયા બાદ જણાવ્યું કે પ્રશ્નપત્ર એકંદરે સારું હતું. તેણીએ કહ્યું કે તેની તૈયારી સારી હોવાથી મોટાભાગના પ્રશ્નો સરળ લાગ્યા, જોકે ફિઝિક્સનો વિભાગ થોડો મુશ્કેલ હતો. તેમ છતાં પરીક્ષાનો સમગ્ર અનુભવ સકારાત્મક રહ્યો હતો. આ રી-નીટ પરીક્ષામાં અંદાજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દેશ અને વિદેશના 5 હજારથી વધુ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સીસીટીવી કેમેરાઓ મારફતે પરીક્ષા કેન્દ્રો પર સતત નજર રાખવામાં આવી હતી. ઉપરાંત, 2 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓને મફત બસ સેવા પુરી પાડવામાં આવી 

ઓડિશાના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી હતી. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ બતાવીને મફત બસ સેવા આપવામાં આવી હતી, જેના કારણે તેઓ સમયસર અને સુરક્ષિત રીતે કેન્દ્ર સુધી પહોંચી શક્યા હતા. વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી કે આ વખતે પરીક્ષા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને વિવાદમુક્ત રહેશે.

આ પણ વાંચો : NEET વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન થાય તે માટે PM મોદીએ એરપોર્ટ પર 45 મિનિટ પ્રતીક્ષા કરી



  • Follow us on: