હિમાચલ પ્રદેશમાં હવામાન ખુલ્યા બાદ પણ વાદળ ફાટવાની અને ભૂસ્ખલન થવાની ઘટનાઓ હજુ પણ બની રહી છે. ગઈ રાત્રે નિરમંડ ઉપમંડળના શર્માની ગામમાં થયેલા ભારે ભૂસ્ખલનને કારણે તબાહી મચાવી દીધી. અહીં, એક ઘરમાં સૂતા પરિવાર પર ભૂસ્ખલન થવાથી તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા. આ ઘટનામાં પરિવારના અન્ય ત્રણ સભ્યો ઘાયલ થયા હતા, જેમને નિર્મંદમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રામપુરની ખાનેરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
એક જ પરિવારના 5 લોકો કાટમાળમાં દટાયા
મળતી માહિતી પ્રમાણે કુલ્લુ જિલ્લાના નિરમંડ વિકાસ ખંડની ઘાટૂ પંચાયતમાં ભારે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે શર્માણી ગામમાં આવેલ એક ઘર જમીનદોઝ થઇ ગયું. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 8 લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના ત્રણ અન્ય સભ્યોને ગ્રામજનો દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પીડિતો ધર્મદાસ અને શિવરામના પરિવારો આ મકાનમાં રહેતા હતા. શિવરામ પોતે ઈજાગ્રસ્ત થયા છે, પરંતુ તેમના સમગ્ર પરિવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો.













