પંજાબમાં કન્યા શિક્ષણ, કિશોર સ્વાસ્થ્ય અને લિંગ-સંવેદનશીલ શિક્ષણને મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વ હેઠળની સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. ૨૮ મેના રોજ, માસિક ધર્મ સ્વચ્છતા દિવસ નિમિત્તે, સરકારે રાજ્યની તમામ સરકારી ઉચ્ચ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં "માસિક ધર્મ સ્વચ્છતા અભ્યાસક્રમ" ના રાજ્યવ્યાપી વિસ્તરણની જાહેરાત કરી છે. આ મહત્વકાંક્ષી પહેલનો પ્રથમ તબક્કો ૨૯ મે, ૨૦૨૬ થી શરૂ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ ૩,૬૦૦ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૧૦ ની ૩.૪ લાખથી વધુ કિશોરીઓને મળશે.


જાગૃતિ, આત્મવિશ્વાસ અને ગૌરવની નવી શરૂઆત

આ પહેલ ભગવંત માન સરકારની સરકારી શિક્ષણ પ્રણાલીને આધુનિક, પ્રગતિશીલ અને સર્વસમાવેશી બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણને આટલા મોટા પાયે વર્ગખંડોમાં લાવીને, સરકારે એવા વિષય પરનું મૌન તોડવાનો પ્રયાસ કર્યો છે જે પરંપરાગત રીતે સામાજિક સંકોચ અને દંતકથાઓથી ઘેરાયેલો રહ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટના અવલોકનોને અનુરૂપ, આ કાર્યક્રમ સુનિશ્ચિત કરે છે કે માસિક સ્રાવ ક્યારેય દીકરીઓના શિક્ષણ, ગૌરવ અને સમાનતામાં અવરોધ ન બને.

પંજાબી ભાષામાં સંરચિત અભ્યાસક્રમ

આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સંસ્થા 'WASH યુનાઇટેડ' ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે, જે હેઠળ વિદ્યાર્થીઓને પંજાબી ભાષામાં "માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન" નો સંરચિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. શિક્ષણ પ્રક્રિયાને રસપ્રદ અને સહભાગી બનાવવા માટે તેમાં ૧૦ વર્ષની 'રૂબી' નામના પાત્રની વાર્તા, રમતો અને ચર્ચાઓનો સમાવેશ કરાયો છે. આ સત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓમાં શારીરિક ફેરફારો પ્રત્યે સમજ કેળવવાનો, સ્વચ્છતાની આદતો સુધારવાનો અને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે.

7,200 શિક્ષકોને વિશેષ તાલીમ

રાજ્યભરમાં આ આયુષી પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે પંજાબ સરકારે અગાઉથી જ અંદાજે ૭,૨૦૦ સરકારી શિક્ષકોને વિશેષ તાલીમ આપી સજ્જ કર્યા છે. વ્યાપક શિક્ષક તાલીમ દ્વારા વર્ગખંડોમાં એવું સુરક્ષિત અને સહાયક વાતાવરણ બનાવવામાં આવશે જ્યાં વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની શરમ કે ભય વિના પોતાના પ્રશ્નો પૂછી શકશે અને સચોટ વૈજ્ઞાનિક માહિતી મેળવી શકશે.

પાયલોટ પ્રોજેક્ટના પ્રોત્સાહક પરિણામો

રાજ્યવ્યાપી અમલીકરણ પહેલાં, ૧૦૦ શાળાઓના ૪૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે આનો પાયલોટ પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો હતો. તેના પરિણામો અદભુત રહ્યા; ૯૭% શિક્ષકો આ વિષય ભણાવવામાં કમ્ફર્ટેબલ રહ્યા અને ૯૪% શિક્ષકોએ તેને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની ભલામણ કરી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીનીઓના પ્રતિભાવો દર્શાવે છે કે આ સત્રોથી છોકરીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ હવે માસિક સ્રાવને કોઈ બીમારી નહીં પરંતુ એક સામાન્ય જૈવિક પ્રક્રિયા તરીકે સ્વીકારી રહી છે. આ પહેલ પંજાબમાં એક જાગૃત, સશક્ત અને સ્વસ્થ યુવા પેઢીના નિર્માણ તરફ માઈલસ્ટોન સાબિત થશે.


આ પણ વાંચો : Delhi Rain: દિલ્હીમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, દિવસે છવાયુ અંધારુ

  • Follow us on: