જે લોકો પાન-મસાલા અથવા ગુટખા ખાય છે, તેઓ ઘણીવાર રસ્તા વચ્ચે થૂંકવાની આદત ધરાવે છે, જેના કારણે અનેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ શકતી નથી. પરંતુ હવે બિહારની રાજધાની પટનામાં જો કોઈ વ્યક્તિ આ રીતે જાહેરમાં થૂંકતા પકડાશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
મહત્વપૂર્ણ અને કડત નિર્ણય
બિહારની રાજધાની પટનામાં સ્વચ્છતા જાળવવા માટે પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં જાહેર સ્થળોએ થૂંકવું, કચરો ફેંકવો અને ખુલ્લામાં પેશાબ કરવો હવે ગંભીર ગુનો ગણાશે. આવા કૃત્યો કરતા લોકો સામે તરત જ કાર્યવાહી કરીને ₹500નો દંડ વસૂલવામાં આવશે.
નિર્ણય પાછળો હેતુ
મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણય પાછળનો હેતુ શહેરની સુંદરતા જાળવવો અને નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવું છે. પાન, ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનોનું સેવન કર્યા બાદ રસ્તા પર થૂંકવાથી ગંદકી ફેલાય છે અને રોગચાળા ફેલાવાનો ખતરો વધે છે. આ કારણે અનેક વિસ્તારો ગંદા અને દુર્ગંધયુક્ત બની જાય છે, જેને રોકવું હવે જરૂરી બની ગયું છે.
સ્માર્ટ સિટી લિમિટેડ તરફનું પગલું
આ અભિયાન પટના સ્માર્ટ સિટી લિમિટેડના મ્યુનિસિપલ કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર યશપાલ મીણાની દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરમાં લગાવવામાં આવેલા 3,300થી વધુ CCTV કેમેરા દ્વારા જાહેર સ્થળોએ થતી ગંદકી પર નજર રાખવામાં આવી રહી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) મારફતે દોષિત વ્યક્તિઓની ઓળખ કરીને તેમના ફોટા શહેરમાં લગાવવામાં આવેલી વેરિયેબલ મેસેજ ડિસ્પ્લે (VMD) સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
શહેરના દુશ્મન તરીકે જાહેર
ખાસ વાત એ છે કે જાહેરમાં થૂંકનાર લોકોને “શહેરના દુશ્મન” તરીકે જાહેર કરવામાં આવશે, જેથી અન્ય નાગરિકો પણ શિસ્ત અને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને. સાથે સાથે, ખુલ્લામાં પેશાબ કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને મ્યુનિસિપલ એન્ફોર્સમેન્ટ ટીમો સ્થળ પર જ દંડ વસૂલશે.
ભૂગર્ભ સબવે વિસ્તારમાં આશરે 250 લોકો પાસેથી દંડ
હાલ સુધીમાં પટના જંકશનને જોડતા ભૂગર્ભ સબવે વિસ્તારમાં આશરે 250 લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે આ અભિયાનથી માત્ર શહેર સ્વચ્છ નહીં બને, પરંતુ સ્વચ્છ સર્વેક્ષણમાં પટનાની રેન્કિંગ સુધારવામાં પણ મદદ મળશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ જાહેર સ્થળે ગંદકી ફેલાવતો જોવા મળે તો ટોલ-ફ્રી નંબર 155304 પર તરત જાણ કરવી.
આ પણ વાંચો : Bangladeshમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, 24 કલાકમાં બીજી ઘટના