સિંગાપોરમાં આજે ભારત અને સિંગાપોર વચ્ચે 4થી ઈન્ડિયા-સિંગાપોર મિનિસ્ટ્રીયલ રાઉન્ડટેબલ (ISMR)નું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભારત તરફથી કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ તથા ઈલેક્ટ્રોનિક્સ અને IT તેમજ વાણિજ્ય-ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદાએ ભાગ લીધો હતો.

https://twitter.com/ANI/status/2090417577436828074

દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી

સિંગાપોરના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ નાયબ વડાપ્રધાન અને વેપાર-ઉદ્યોગ મંત્રી ગાન કિમ યોંગે કર્યું હતું. બેઠકમાં સિનિયર મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના સંકલન મંત્રી કે. શણ્મુગમ, વિદેશ મંત્રી ડૉ. વિવિયન બાલકૃષ્ણન, ડિજિટલ ડેવલપમેન્ટ અને ઈન્ફોર્મેશન મંત્રી જોસેફિન ટેઓ તથા પરિવહન મંત્રી અને નાણાં મંત્રાલયના બીજા મંત્રી જેફ્રી સિયોવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

4થી ISMR દરમિયાન બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરી અને નવા ક્ષેત્રોમાં ભાગીદારીની શક્યતાઓ અંગે ચર્ચા કરી. બેઠકમાં છ મુખ્ય સ્તંભો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, કનેક્ટિવિટી, ડિજિટલાઈઝેશન, હેલ્થકેર અને મેડિસિન, સ્કિલ્સ ડેવલપમેન્ટ તથા સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે.

બંને દેશ વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે

બેઠક દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે બે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) અને એક લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI)ની પણ આપ-લે કરવામાં આવી હતી. આ કરારો બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી કરવામાં આવ્યા છે.

કરારોમાં મેરિટાઈમ હેરિટેજ ક્ષેત્રે સહયોગ, ફૂડ સેફ્ટીના ક્ષેત્રમાં સહકાર તથા ટેલિકોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન ક્ષેત્રે સહયોગનો સમાવેશ થાય છે. બંને દેશોએ આ બેઠક દ્વારા આર્થિક, ટેક્નોલોજી, કનેક્ટિવિટી અને માનવ સંસાધન ક્ષેત્રે સહયોગને વધુ ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આવનારા સમયમાં આ કરારોના અમલીકરણથી ભારત-સિંગાપોરના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : India News : ઈટાલીથી ભારત સુધીની સફર અને રાજીવ ગાંધી સાથેની પ્રેમકથા, સોનિયા ગાંધીની આત્મકથામાં ખુલશે અનેક રહસ્યો