ભારતીય સૈનિકોએ અનેક લડાઈ લડી સફળ ઓપરેશન પાર પાડ્યા છે. ઓપરેશન સિંદૂર, ઓપરેશન બ્લૂ સ્ટાર જેવા અનેક ઓપરેશનમાં સેના અને જવાનોની બહાદુરી જોઈ. દેશની સરહદની રક્ષા માટે, આંતકીઓનો ખાતમો કરવા તેમજ ઘૂસણખોરી કરનાર લોકો સામે લડી બહાદુરીથી ભારતીય સૈનિકો લડયા અને આ ઓપરેશન સફળ કર્યા. આ ઓપરેશન દરમિયાન કેટલાક સૈનિકો મોતને પણ ભેટયા. સેના પ્રથમ વખત સત્તાવાર રીતે 1171 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ સૈનિકોએ ઓપરેશન પવનમાં શહીદ થયા હતા. જાણો શું છે ઓપરેશન પવન.
ભારતીય સેનાનું શું છે ઓપરેશન પવન
ઓક્ટોબર 1987 થી માર્ચ 1990સુધી ચાલેલા આ ઓપરેશનને 'ઓપરેશન પવન' કહેવામાં આવતું હતું. 1987માં, રાજીવ ગાંધી સરકારે તમિલ અને સિંહાલી સમુદાયો વચ્ચેના ગૃહયુદ્ધનો અંત લાવવા માટે ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) શ્રીલંકા મોકલ્યું. જેનો હેતુ LTTE જેવા તમિલ આતંકવાદી જૂથોને નિઃશસ્ત્ર કરવાનો અને શાંતિ સ્થાપિત કરવાનો હતો. જોકે, LTTE એ કરાર તોડી નાખ્યો અને ભારતીય સેના સાથે અથડામણ કરી. સૈનિકોએ જંગલો અને ઝાડીઓમાં છુપાયેલા LTTE સાથે લડાઈ કરી.
ઓપરેશન પવનમાં 1171 શહીદ, 3500થી વધુ ઘાયલ
LTTE અને સૈનિકો વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. જેમાં અનેક ભારતીય સૈનિકો શહીદ થયા. સૌથી અગ્રણી નામ પરમવીર ચક્ર વિજેતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનું છે, જે 25 નવેમ્બર, 1987ના રોજ શહીદ થયા હતા. આ ઓપરેશનમાં, 1171 ભારતીય સૈનિકો શહીદ થયા હતા અને 3500થી વધુ ઘાયલ થયા હતા. આટલું મોટું ઓપરેશન થવા છતાં સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ ના હતી. ના તો વધુ વિગત બહાર આવી હતી. આ ઓપરેશન પવનને વર્ષોથી તે માન્યતા મળી ન હતી જે તેને મળવાની હતી.
38 વર્ષ પછી ઓપરેશનને માન્યતા મળી
પહેલી વાર, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ વ્યક્તિગત રીતે પુષ્પાંજલિ અર્પણ કરશે. ઓપરેશન પવનના ઘણા નિવૃત્ત સૈનિકો અને શહીદોના પરિવારો પણ હાજર રહેશે. IPKF ના નિવૃત્ત સૈનિકો લાંબા સમયથી 1971 ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ અને 1999 ના કારગિલ સંઘર્ષની યાદમાં ઓપરેશન પવનને યાદ કરવા માટે એક દિવસની સત્તાવાર નિમણૂક કરવાની માંગ કરી રહ્યા હતા. તેમની માગ પૂર્ણ થતા એક નિવૃત્ત સૈનિકોએ કહ્યું કે 38 વર્ષ પછી, તેમને થોડી માન્યતા મળી રહી છે. હવે, થોડી સાંત્વના મળશે.