દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ પાયરેસીને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને નોટિસ પાઠવી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ગેરકાયદેસર અને પાયરેટેડ કન્ટેન્ટ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. સરકારે ખાસ કરીને પાયરેટેડ ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટને તરત દૂર કરવા જણાવ્યું છે. સાથે જ આગામી 15 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.

નિર્માતાઓની આવક પર સીધી અસર

સરકારના જણાવ્યા મુજબ, ડિજિટલ પાયરેસીના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થયા બાદ થોડા જ સમયમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન શેર થતી હોવાથી નિર્માતાઓની આવક પર સીધી અસર પડે છે. OTT પ્લેટફોર્મ અને કન્ટેન્ટ માલિકોની અનેક ફરિયાદો બાદ મંત્રાલયે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 3,142 ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં કથિત રીતે પાયરેટેડ કન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યું હતું. આ આધારે માહિતી ટેક્નોલોજી અધિનિયમ, 2000 હેઠળ ટેલિગ્રામને નોટિસ આપવામાં આવી છે.

ગેરકાયદેસર કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાની સૂચના 

સરકારે ટેલિગ્રામને પોતાના નિયમોને વધુ કડક બનાવવા અને તમામ ગેરકાયદેસર કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે. ઉપરાંત, 2021ના IT નિયમો મુજબ સરકાર અથવા કોર્ટના આદેશ બાદ ઓનલાઈન પ્લેટફોર્મ માટે ગેરકાયદેસર સામગ્રી દૂર કરવી ફરજિયાત છે. આ દરમિયાન ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY)એ ટેલિગ્રામ અને સિગ્નલને તેમના યુઝરનેમ ફીચર અંગે પણ નોટિસ પાઠવી છે. સરકારે ઓળખની ચોરી, ફેક એકાઉન્ટ અને ઓનલાઈન છેતરપિંડી જેવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાની માહિતી માગતા કંપનીઓને દુરુપયોગ અટકાવવા માટેના પગલાં અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે.

આ પણ વાંચો : Modi Governmentનો આતંકવાદ સામે વધુ એક મોટો પ્રહાર, 23 લોકોને આતંકવાદી જાહેર કરાયા