દેશમાં ઝડપથી વધી રહેલી ડિજિટલ પાયરેસીને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને નોટિસ પાઠવી તેના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ગેરકાયદેસર અને પાયરેટેડ કન્ટેન્ટ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. સરકારે ખાસ કરીને પાયરેટેડ ફિલ્મો, વેબ સિરીઝ અને OTT કન્ટેન્ટને તરત દૂર કરવા જણાવ્યું છે. સાથે જ આગામી 15 દિવસમાં કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
નિર્માતાઓની આવક પર સીધી અસર
સરકારના જણાવ્યા મુજબ, ડિજિટલ પાયરેસીના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નવી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થયા બાદ થોડા જ સમયમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન શેર થતી હોવાથી નિર્માતાઓની આવક પર સીધી અસર પડે છે. OTT પ્લેટફોર્મ અને કન્ટેન્ટ માલિકોની અનેક ફરિયાદો બાદ મંત્રાલયે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 3,142 ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં કથિત રીતે પાયરેટેડ કન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યું હતું. આ આધારે માહિતી ટેક્નોલોજી અધિનિયમ, 2000 હેઠળ ટેલિગ્રામને નોટિસ આપવામાં આવી છે.
