ભારતીય નૌકાદળની લાંબા અંતરની હુમલાની ક્ષમતા વધારવા માટે સંરક્ષણ મંત્રાલયે જહાજ પરથી લોન્ચ થઈ શકે તેવી લોઈટરિંગ મ્યુનિશન સિસ્ટમ માટે રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન (RFI) જાહેર કરી છે. આ સિસ્ટમ ડ્રોન અને મિસાઈલની સંયુક્ત ક્ષમતા ધરાવતી હશે અને તેને 'કામિકાઝે ડ્રોન' જેવી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા

મળતી માહિતી અનુસાર, પ્રસ્તાવિત સિસ્ટમની લઘુત્તમ રેન્જ 1,000 કિલોમીટર હોવી જોઈએ. તે દરિયાઈ જહાજો ઉપરાંત જમીન પરના લક્ષ્યો સામે પણ કાર્યવાહી કરી શકે તેવી ક્ષમતા ધરાવશે. સિસ્ટમમાં લાંબા સમય સુધી લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા પણ માગવામાં આવી છે. RFIમાં સિસ્ટમ માટે અનેક તકનીકી માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ક્રૂઝિંગ સ્પીડ 75 નોટથી વધુ અને અંતિમ હુમલા સમયે ઝડપ 200 નોટથી વધુ હોવાની જરૂરિયાત સામેલ છે. ઉપરાંત, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ (EO/IR) સીકરથી દિવસ અને રાત્રે લક્ષ્ય શોધવાની તથા ચોકસાઈથી કાર્યવાહી કરવાની ક્ષમતા હોવી જરૂરી રહેશે.

સ્વદેશી ઉત્પાદનને પ્રાથમિકતા 

આ પ્રોજેક્ટમાં ભારતીય ઉદ્યોગ અને સ્વદેશી ઉત્પાદનને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા છે. ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત કેટલીક ભારતીય કંપનીઓ આ પ્રકારની ટેક્નોલોજી પર પહેલેથી કામ કરી રહી છે. RFIનો મુખ્ય હેતુ ઉદ્યોગ પાસેથી તકનીકી માહિતી મેળવવાનો અને ઉપલબ્ધ સિસ્ટમ અંગે જાણકારી મેળવવાનો છે, ત્યારબાદ આગળની ખરીદી પ્રક્રિયા હાથ ધરાઈ શકે છે.

યોગ્ય લક્ષ્ય પસંદ કર્યા બાદ હુમલો કરી શકે છે

લોઈટરિંગ મ્યુનિશન પરંપરાગત ડ્રોન અને મિસાઈલ વચ્ચેની ટેક્નોલોજી માનવામાં આવે છે. તે લક્ષ્ય વિસ્તાર સુધી પહોંચી થોડા સમય માટે નજર રાખી શકે છે અને યોગ્ય લક્ષ્ય પસંદ કર્યા બાદ હુમલો કરી શકે છે. નૌકાદળ માટે જહાજ આધારિત લાંબા અંતરની આ ક્ષમતા ભવિષ્યની દરિયાઈ સુરક્ષા અને ઓપરેશનલ ક્ષમતાને વધુ મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો : CJPના ફાઉન્ડર અભિજીત દીપકેની મોટી જાહેરાત કહ્યું 'જંતર-મંતર સીઝન-2 ટૂંક સમયમાં શરૂ થશે'