ઈન્ડિગો કંપનીનું ઈમ્ફાલ જઈ રહેલું એક વિમાન ગુરુવાર સવારે એક કલાક સુધી હવામાં રહ્યા બાદ ટેકનિકલ ખામીને કારણે ફરી દિલ્હી પરત ફર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17 જુલાઈ 2025ના રોજ દિલ્હીથી ઈમ્ફાલ જઈ રહેલી ફ્લાઈટ 6E- 5118 ના ટેક ઓફ થયા બાદ તરત જ ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. પાયલોટે મહત્વનું પગલુ ભરીને વિમાનને પરત ફરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરી દીધુ હતું.
ઇન્ડિગોએ જણાવ્યું હતું કે પ્રક્રિયા પ્રમાણે વિમાનની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી અને થોડીવાર પછી તેણે ફરીથી ઉડાન ભરી હતી. કંપનીએ મુસાફરોની અસુવિધા બદલ માફી માંગી હતી. મળતી માહિતી અનુસાર, A-321 વિમાન દિલ્હી પરત ફરતા પહેલા લગભગ એક કલાક સુધી હવામાં રહ્યું. એરલાઇન્સે હજી સુધી ખુલાસો કર્યો નથી કે વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 1 કલાક સુધી હવામાં રહ્યા બાદ વિમાન અચાનક દિલ્હી તરફ વળતા મુસાફરો ખૂબ જ ચિંતિત હતા.












