પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતની મુલાકાત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા અંગેની તેમની સ્થિતિ ફરી એકવાર સ્પષ્ટ કરી હતી. એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે તેમણે અમેરિકા અને ઈઝરાયેલને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ઈરાન દાદાગીરી કે અહંકાર સામે ઝૂકશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે મક્કમતાથી ઊભું રહેશે. ધાર્મિક નેતાઓ, બૌદ્ધિકો, શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓના સમૂહને સંબોધતા પેઝેશ્કિયાને ગલ્ફ ક્ષેત્ર અંગે તેહરાનનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવી અને ઈરાની સમાજમાં ફૂટ પડાવવાનો પ્રયાસ કરતી વિદેશી તાકાતોને હરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.


ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, "અમે જુલમ સામે ઝૂકીશું નહીં. ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે મક્કમતાથી ઊભું છે કારણ કે અમે ધમકીઓ સામે નમીશું નહીં; જો તેઓ અમારા પર દબાણ લાવશે, તો અમે તેનો જવાબ આપીશું." તેમણે અમેરિકા અને ઈઝરાયેલની સેનાઓને "અસલી આતંકવાદી" ગણાવ્યા અને દક્ષિણ ઈરાનમાં એક પ્રાથમિક શાળા નજીક અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કર્યો જેમાં 168 બાળકોના મોત થયા હતા.


'અમેરિકા લગામ વગરના જંગલી ઘોડા જેવું છે'

પેઝેશ્કિયાને ટિપ્પણી કરી કે હોસ્પિટલો, માળખાગત સુવિધાઓ અને લોકોની આજીવિકાને નિશાન બનાવવાને બદલે, તેમણે ઈરાની સૈનિકોનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે ભલે તેઓ માનતા હોય કે અછત લોકોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરશે, પરંતુ ઈરાનની જનતા ઝૂકશે નહીં. ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયેલની કાર્યવાહીની સરખામણી લગામ વગરના જંગલી ઘોડાની સવારી સાથે કરી હતી.


પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે આ માર્ગ તેમને વિનાશ અને નરકની આગ તરફ દોરી જશે. તેમણે ઉમેર્યું કે ઈશ્વરે ઈરાનીઓ, ચીનીઓ, ભારતીયો અને અન્ય લોકોને બનાવ્યા છે અને આપણે સાથે મળીને રહેવું જોઈએ; ઈરાન જુલમ સામે ઝૂકશે નહીં અને પીડિતોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.


ભારત અંગે પેઝેશ્કિયાને શું કહ્યું?

પેઝેશ્કિયાન ત્રણ દિવસની મુલાકાતે શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવાનો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી2એ કહ્યું, "અમે ભારતને એક મહાન ઉભરતા રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ જે હાલમાં બ્રિક્સનું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. બ્રિક્સ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા છે અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મને વિશ્વાસ છે કે ભારત બ્રિક્સ જૂથ અને તેના સભ્ય દેશોનું અનુકરણીય રીતે નેતૃત્વ કરવા સક્ષમ છે." આ કાર્યક્રમમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી, કાશ્મીરી અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક અને પતંજલિ આયુર્વેદના સહ-સ્થાપક તથા મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીના વડનગર અને જિનપિંગના શહેરનું 1300 વર્ષ જૂનું કનેક્શન! ચીની રાષ્ટ્રપતિએ જણાવી હતી અજાણી વાત