ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના 3 અઠવાડિયા બાદ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. કહ્યું કે જો ફરીથી આતંકી હુમલો થયો તો ભારત જડબાતોડ જવાબ આપવામાં સ્હેજ પણ કચાશ નહી રાખે. આતંકીઓના ઠેકાણા પાકિસ્તાનની અંદર પણ હશે તો અમે પાકિસ્તાનની અંદર જઇને પણ હુમલો કરીશું. ભારત સરકાર તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે ઓપરેશન સિંદૂર ખતમ થયુ નથી.
26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા
મહત્વનું છે કે ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. જેના માટે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનને જવાબદાર ઠેરવ્યુ હતુ. સામે વળતા જવાબમાં ભારતે આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. ભારતે 10 મેના રોજ મોટો હુમલો કર્યો અને પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કર્યો. જે બાદ પાકિસ્તાને લડાઈ બંધ કરવાની અપીલ કરી, જેને ભારતે સ્વીકારી હતી.
ફાઇટર પ્લેન તોડી પાડવાના દાવા પર વિદેશ મંત્રીએ શું કહ્યું?
પાકિસ્તાને ભારતનું ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો હતો. જ્યારે વિદેશ મંત્રીને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં, પરંતુ ટૂંક સમયમાં સંબંધિત અધિકારી યોગ્ય સમયે આ અંગે સંપૂર્ણ માહિતી આપશે. જયશંકરે કહ્યું કે 'ભારતના હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું અને ભારતના લડાકુ વિમાનો અને અન્ય લશ્કરી સાધનોએ અત્યંત ચોકસાઈથી હુમલા કર્યા હતા અને પાકિસ્તાનના નાશ પામેલા એરબેઝના ફોટા ગૂગલ પર ઉપલબ્ધ છે.
હવે આતંકવાદ સહન નહી થાય- જય શંકર
જયશંકરે કહ્યું કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપી રહ્યું છે અને દક્ષિણ સરહદ પર હજારો આતંકવાદીઓ હાજર છે. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, આપણે હવે આતંકવાદ સાથે હવે નહીં રહીએ. અમારો સંદેશ સ્પષ્ટ છે કે એપ્રિલ જેવા હુમલાઓ ચાલુ રહેશે, તો અમે જવાબી કાર્યવાહી કરીશું અને આ કાર્યવાહી આતંકવાદી સંગઠનો અને આતંકવાદી નેતૃત્વ સામે હશે.