ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે જમ્મુમાં જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદને કારણે નદીઓ પાણીથી છલકાઈ રહી છે અને સર્વત્ર વિનાશ વ્યાપી ગયો છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ઘણા રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા છે. માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે 32 લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે.


દરેક મૃતકોના પરિવારને 9 લાખ રૂપિયા આપવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા અકસ્માતમાં ઘાયલોની સ્થિતિ જાણવા માટે કટરાના કાકરિયાલમાં શ્રાઈન બોર્ડની નારાયણ હોસ્પિટલમાં પહોંચ્યા. આ દરમિયાન તેમણે વળતરની પણ જાહેરાત કરી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે વૈષ્ણોદેવી રૂટ પર વાદળ ફાટવાથી આ અકસ્માત થયો હતો. આમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. શ્રાઈન બોર્ડ તમામ મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયા અને જમ્મુ અને કાશ્મીરના ડિઝાસ્ટર વિભાગ દ્વારા 4 લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક મૃતકોના પરિવારને 9 લાખ રૂપિયા આપવામાં આવશે.

મેં થોડા સમય પહેલા જ વડાપ્રધાન સાથે વાત કરી : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા

બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બુધવારે વડાપ્રધાન મોદીને જમ્મુમાં ભારે વરસાદ અને પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, મેં થોડા સમય પહેલા વડાપ્રધાન સાથે વાત કરી હતી. મેં તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. NDRFની ટીમ તૈનાત કરવા બદલ હું તેમનો આભાર માનું છું. વડાપ્રધાને ખાતરી આપી છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરના લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડશે.

વરસાદ બંધ થતાં થોડી રાહત થઈ

સીએમ અબ્દુલ્લાએ કહ્યું કે બુધવારે વરસાદ બંધ થવાથી થોડી રાહત થઈ છે. મંગળવારની સરખામણીમાં આજે વરસાદ બંધ થઈ ગયો હોવાથી અમને થોડી રાહત મળી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘટી રહ્યું છે. 2014ના પૂર દરમિયાન જમ્મુ શહેરમાં તાવી નદી પરના ચોથા પુલને થયેલા નુકસાનનો ઉલ્લેખ કરતા સીએમએ કહ્યું કે, હું ડિવિઝનલ કમિશનરને કહી રહ્યો હતો કે 2014માં પણ આ જ જગ્યાએ પુલને નુકસાન થયું હતું.


  • Follow us on: