મધ્યપ્રદેશના છિંદવાડા અને રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં કફ સિરપના કારણે અનેક બાળકોના મોત થયા છે. રવિવારે મધ્યપ્રદેશના બેતુલમાં પણ 2 બાળકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. આ સાથે મધ્યપ્રદેશમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે રવિવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અને આ બેઠકમાં કેન્દ્રીય સચિવે તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.
મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 16 બાળકોના મોત
મધ્યપ્રદેશના બેતુલમાં કફ સિરપ પીવાથી 2 બાળકોના મોત થયા છે. ત્યારે મધ્યપ્રદેશના છિંદવાડામાં, કફ સિરપ પીવાથી 14 બાળકોના મોત થયા છે. બેતુલમાં બે બાળકોને કિડની ફેલ્યોર હોવાનું પણ જાણવા મળ્યું છે. એવું જાણવા મળ્યું છે કે આ બે બાળકોની સારવાર ડૉ. પ્રવીણ સોની દ્વારા કરવામાં આવી હતી અને તેમને કોલ્ડ્રિફ કફ સિરપ આપવામાં આવ્યું હતું. બાળકોના મૃત્યુ અંગે વહીવટીતંત્રે છિંદવાડા જિલ્લામાં પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. એડીએમ ધીરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર છિંદવાડામાં 14 બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. આ બધા કિસ્સાઓમાં વળતર મંજૂર કરવામાં આવ્યું છે અને રકમ પરિવારોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. છિંદવાડાના 8 બાળકો નાગપુરની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલ છે. બાળકોની સ્થિતિ પર નજર રાખવા માટે એક વહીવટી ટીમ બનાવવામાં આવી છે. વધુમાં ડ્રગ કંટ્રોલર ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ રાજ્યમાં પ્રતિબંધિત કોલ્ડ્રિફ કફ સિરપ જપ્ત કરી રહી છે.













