Delhi-NCR સહિત દેશભરમાંથી હિમાચલ પ્રદેશ અને લદ્દાખ ફરવા જતા લોકો માટે સારા સમાચાર છે. હિમાચલ પ્રદેશમાં બે મહત્વની ટનલ 11 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવી રહી છે. આ ટનલ નેશનલ હાઈવે-3 (NH-03)ના પંડોહ-ટકોલી સેક્શનમાં બનાવવામાં આવી છે. ટનલ શરૂ થયા બાદ મંડી અને કુલ્લુ સહિત લેહ-લદ્દાખ સુધીનો પ્રવાસ વધુ સરળ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે.

મંડીથી કુલ્લુનું અંતર કાપવામાં લાગતો સમય અડધો થશે

હાલ હિમાચલ પ્રદેશના મંડીથી કુલ્લુ પહોંચવામાં લગભગ બે કલાક લાગે છે. નવી ટનલ શરૂ થયા બાદ આ પ્રવાસનો સમય ઘટીને લગભગ એક કલાક થઈ જશે. તેનાથી મુસાફરોને ટ્રાફિક જામ, સાંકડા વળાંકો અને લેન્ડસ્લાઈડવાળા વિસ્તારોમાંથી પસાર થવામાં મોટી રાહત મળશે.

https://twitter.com/nitin_gadkari/status/2097985759693467996

11 સપ્ટેમ્બરે ટનલ ખોલવામાં આવશે

નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે NH-03ના પંડોહ-ટકોલી સેક્શનમાં કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર થશે અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેવોડ અને હનોગીની મોટી ટનલ ખોલવામાં આવશે.

6 કિલોમીટરનો મુશ્કેલ રસ્તો હવે 3.5 કિલોમીટરનો થશે

આ પ્રોજેક્ટ હેઠળ બે ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ શરૂ થયા બાદ અગાઉનો લગભગ 6 કિલોમીટર લાંબો વળાંકવાળો અને જોખમી પહાડી રસ્તો ઘટીને માત્ર 3.5 કિલોમીટર જેટલો થઈ જશે.

  1. દેવોડ ટનલ (T4-01): 2.8 કિલોમીટર લાંબી
  2. હનોગી ટનલ (T4-02): 650 મીટર લાંબી

ટ્રાફિક જામથી મોટી રાહત મળવાની આશા

જોગણી માતા મંદિર, દેવોડ અને હનોગી વિસ્તાર લાંબા સમયથી ટ્રાફિક જામ માટે જાણીતા છે. ખાસ કરીને ટુરિસ્ટ સિઝનમાં અહીં વાહનો એકથી બે કલાક સુધી અટવાઈ જતા હતા. નવી ટનલ શરૂ થયા બાદ આ વિસ્તારોમાં થતા ટ્રાફિક જામથી કાયમી રાહત મળવાની આશા છે.

મનાલી અને લદ્દાખ જતા પ્રવાસીઓને પણ ફાયદો થશે

આ રસ્તો માત્ર હિમાચલના પર્યટન સ્થળો માટે જ મહત્વનો નથી, પરંતુ લેહ-લદ્દાખ જતા લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. ટનલ શરૂ થયા બાદ મનાલી જતા પ્રવાસીઓનો સમય બચશે. રોહતાંગ અને લાહૌલ-સ્પીતિનો પ્રવાસ પણ સરળ બનશે. આ ઉપરાંત લેહ-લદ્દાખ તરફ જતા સૈન્ય કાફલાઓને પણ ઝડપી અને વધુ સુરક્ષિત માર્ગ મળશે.

શિયાળામાં પણ કનેક્ટિવિટી સુધરશે

આ માર્ગ પર દરેક સિઝનમાં સારી કનેક્ટિવિટી જળવાઈ રહે તે દિશામાં પણ આ ટનલ મહત્વની છે. અત્યાર સુધી શિયાળાની સિઝનમાં ભારે બરફવર્ષા સહિતની સમસ્યાઓના કારણે આ રસ્તો ઘણીવાર બંધ થઈ જતો હતો. નવી ટનલથી મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળવાની આશા છે.

લેન્ડસ્લાઈડવાળા જોખમી વિસ્તારોને બાયપાસ કરાશે

પંડોહ અને હનોગી વિસ્તારમાં વારંવાર લેન્ડસ્લાઈડની ઘટનાઓ બને છે. દર વર્ષે અહીં પહાડ પરથી પથ્થરો અને ચટ્ટાનો પડવાની ઘટનાઓ સામે આવે છે. નવી ટનલના કારણે આવા સંવેદનશીલ વિસ્તારોને બાયપાસ કરી શકાશે. આથી અગાઉની સરખામણીએ મુસાફરી વધુ સુરક્ષિત બનશે. આ બંને ટનલ પંડોહ બાયપાસ-ટકોલી 4-લેન પ્રોજેક્ટનો ભાગ છે. આશરે 18.908 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટનું નિર્માણ હાઇબ્રિડ એન્યુટી મોડ (HAM) હેઠળ કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹4,465.94 કરોડ છે.

આ પણ વાંચો:  હિમાચલ પ્રદેશનું ગ્રીન કેપિટલ અને ચાના બગીચાઓની ભૂમિ