"એમબીએ ચાયવાલા" (MBA Chaiwala) તરીકે દેશભરમાં જાણીતા ઇન્દોરના યુવા ઉદ્યોગસાહસિક પ્રફુલ્લ બિલોર ઓનલાઈન ફેલાઈ રહેલી ખોટી અફવાઓનો ભોગ બન્યા છે. સોશિયલ મીડિયા પર તેમના અચાનક અવસાનના ભ્રામક અને સંવેદનશીલ દાવાઓ વાયરલ થયા બાદ, પ્રફુલ્લે પોતે સામે આવીને આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી દીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને જીવંત છે.

MBA Chaiwalaએ ગૂગલ સર્ચનો સ્ક્રીનશોટ શેર કર્યો

પોતાના મૃત્યુની ખોટી ખબરોથી વ્યથિત થયેલા પ્રફુલ્લ બિલોરે ઇન્સ્ટાગ્રામ પર ગૂગલ સર્ચનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં સર્ચ એન્જિન અને એક અજ્ઞાત વેબસાઇટ પર તેમના મૃત્યુના ખોટા અહેવાલો દેખાઈ રહ્યા છે. આ સ્ક્રીનશોટ સાથે પોતાની પીડા વ્યક્ત કરતા પ્રફુલ્લે લખ્યું: "આ ખૂબ જ પીડાદાયક, સંપૂર્ણપણે વાહિયાત અને અપમાનજનક છે. કૃપા કરીને આવા ફેક ન્યૂઝ ફેલાવવાનું બંધ કરો. હું જીવિત છું."

કેવી રીતે ફેલાઈ અફવા અને કેવો રહ્યો યુઝર્સનો પ્રતિસાદ?

હકીકતમાં, માઇક્રોબ્લોગિંગ સાઇટ X (ટ્વિટર) પર કેટલાક નકલી એકાઉન્ટ્સ દ્વારા પ્રફુલ્લ બિલોરના નિધન અંગેની ખોટી પોસ્ટ્સ શેર કરવામાં આવી હતી. કોઈપણ સત્તાવાર પુષ્ટિ કે વિશ્વસનીય માહિતી વિના આ ભ્રામક દાવાઓ ઝડપથી વાયરલ થઈ ગયા અને લોકોએ અજાણતામાં શોક સંદેશાઓ પણ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, પ્રફુલ્લની સ્પષ્ટતા બાદ તેમના ચાહકો અને સમર્થકો ફેક ન્યૂઝ ફેલાવનારાઓ પર તૂટી પડ્યા હતા. એક યુઝરે પ્રફુલ્લને હિંમત આપતા લખ્યું, "ભાઈ, મજબૂત રહો, આ આજની ડિજિટલ દુનિયામાં નફરત ફેલાવવી સામાન્ય થઈ ગઈ છે." જ્યારે અન્ય એક યુઝરે આને ઈર્ષ્યાખોરોનું કામ ગણાવ્યું હતું.

કોણ છે 'એમબીએ ચાયવાલા' પ્રફુલ્લ બિલોર?

મધ્યપ્રદેશના વતની પ્રફુલ્લ બિલોરે પરંપરાગત નોકરી કે કારકિર્દીનો માર્ગ છોડીને માત્ર ₹૮,૦૦૦ ના મામૂલી રોકાણથી ચાની નાની લારી શરૂ કરી હતી. MBA ડ્રોપઆઉટ હોવા છતાં, પ્રફુલ્લે પોતાની અનોખી માર્કેટિંગ શૈલી, મહેનત અને પ્રેરણાદાયી સ્પીચના જોરે 'MBA ચાયવાલા' ને આજે એક રાષ્ટ્રવ્યાપી ફ્રેન્ચાઇઝ બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી દીધી છે.


આ પણ વાંચો : Varanasi: કાશી વિશ્વનાથ મંદિરમાં હડકંપ, ગેટ નંબર 4 પર PAC જવાનની બંદૂકમાંથી અચાનક ફૂટી ગોળી, 3 લોકો ઘાયલ