13,500 કરોડના પંજાબ નેશનલ બેન્ક (PNB) લોન કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક અને ભાગેડુ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારે ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના સેક્રેટરી (વેસ્ટ) સિબી જ્યોર્જે જણાવ્યું કે ભારત દ્વારા મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટેની વિનંતી અગાઉથી જ કરવામાં આવી છે અને સરકાર તેને ભારત પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

https://twitter.com/ANI/status/2095508945817452750


ગયા વર્ષે એપ્રિલમાં મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી

સિબી જ્યોર્જે જણાવ્યું કે ભારતની પ્રત્યાર્પણ વિનંતીના આધારે બેલ્જિયમના સત્તાવાળાઓએ ગયા વર્ષે એપ્રિલમાં મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. ત્યારથી તે બેલ્જિયમની જેલમાં છે. ભારત સરકારનું વલણ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે ભાગેડુ આરોપીઓને ભારત પરત લાવી કાયદા અને ન્યાયનો સામનો કરાવવાની દિશામાં સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાલમાં બેલ્જિયમમાં ચાલી રહી છે

મેહુલ ચોક્સી પર PNB સાથે મોટા પાયે છેતરપિંડી કરીને હજારો કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આ કેસમાં તેમના ભાણેજ અને હીરા વેપારી નીરવ મોદીનું નામ પણ સામે આવ્યું હતું. કથિત કૌભાંડ બહાર આવ્યા બાદ બંને ભારતમાંથી વિદેશમાં ગયા હતા. ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાલમાં બેલ્જિયમમાં ચાલી રહી છે. ભારત તરફથી કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતી બાદ બેલ્જિયમના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. હવે ભારતની તપાસ એજન્સીઓ અને સરકારની નજર બેલ્જિયમની કાનૂની પ્રક્રિયા પર છે.

ભારત પરત મોકલવા અંગેનો નિર્ણય મહત્વનો

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં ભારતનો મુખ્ય હેતુ આરોપીને દેશ પરત લાવી કાયદા અનુસાર કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે. સરકારનું કહેવું છે કે વિદેશમાં આશરો લેનારા આર્થિક ગુનાઓના આરોપીઓને ભારત પરત લાવવા માટે રાજદ્વારી અને કાનૂની સ્તરે પ્રયાસો ચાલુ રહેશે. મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણથી PNB કૌભાંડની તપાસ અને કાનૂની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પ્રગતિ થવાની શક્યતા છે. હવે બેલ્જિયમની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોક્સીને ભારત પરત મોકલવા અંગેનો નિર્ણય મહત્વનો રહેશે.

આ પણ વાંચો : Bullet Train બનાવશે આ ભારતીય કંપની, 866 કરોડનું છે બજેટ