ભારતે બંગાળની ખાડી વિસ્તારમાં 4 જૂનથી 9 જૂન વચ્ચે સંભવિત મિસાઈલ પરીક્ષણોને ધ્યાનમાં રાખીને અનેક NOTAM (Notice to Airmen) અને દરિયાઈ નેવિગેશન ચેતવણીઓ જાહેર કરી છે. આ સૂચનાઓ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના અને નૌસેના આ સમયગાળા દરમિયાન મોટા પાયે મિસાઈલ પરીક્ષણો કરી શકે છે.
લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે
પ્રથમ સૂચના ઓડિશા સ્થિત અબ્દુલ કલામ દ્વીપ સાથે સંબંધિત છે. આ મુજબ 4 જૂનથી 9 જૂન સુધી લગભગ 390 કિલોમીટર લાંબા વિસ્તારમાં ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે છે. બીજી સૂચના ભારતીય નૌસેનાનું પૂર્વી કમાન્ડ મુખ્યાલય તરફથી જાહેર કરવામાં આવી છે. 7 જૂનથી 9 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં નૌસેનાના યુદ્ધજહાજો દ્વારા હથિયાર અથવા મિસાઇલ પરીક્ષણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે લગભગ 470 કિલોમીટર લાંબા સમુદ્રી વિસ્તારને નિર્ધારિત કરવામાં આવ્યો છે.













