મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આપણે ઘણીવાર વીઆઇપી ગેસ્ટને જોઇએ છીએ. તેઓ મંદિરના ગર્ભગૃહની નજીક બેસાડવામાં આવે છે. આ મંદિરમાં વીઆઇપી કલ્ચરને લઇને એક અરજી દાખલ કરવામાં આવી હતી. કે મંદિર પ્રશાસન કેટલાક લોકોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ આપે છે તો કેટલાક લોકોને બહારથી જ દર્શન કરવા પડે છે. આભેદભાવને લઇને તેઓએ કોર્ટને હસ્તક્ષેપની માગ કરી હતી. ત્યારે આ મામલે હાઇકોર્ટનું નિવેદન સામે આવ્યું છે.


કોર્ટ વીઆઇપી દર્શન માટે શું કહ્યું ? 

આ અંગે હોઇકોર્ટની ઇંદોર ખંડપીઠે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોર્તિલિંગને લઇને એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં અદાલતે સ્પષ્ટ કર્યુ છે કે મંદિરના ગર્ભગૃહમાં વીઆઇપી પ્રવેશની અનુમતિ આપવી તે સંપૂર્ણ રીતે મંદિર પ્રશાસનના વિવેક પર નિર્ભર છે. કોઇ પણ કાયદાકીય નિયમમાં વીઆઇપી શબ્દની કોઇ પરિભાષા નક્કી નથી. આથી અદાલત એ નક્કી કરી શકે નહીં કે કોણ વીઆઇપી ક્ષેત્રમાં આવે છે અને કોણ નહીં. તેમણે એ વાત સ્પષ્ટ કરી કે જે પરિસ્થિતિમાં જિલ્લા પ્રશાસન અને મંદિર પ્રબંધન સમિતિ યોગ્ય સમજે તે પ્રમાણે કોઇ વ્યક્તિને વીઆઇપી માનીને ગર્ભગૃહમાં પ્રવેશ આપી શકાય છે. તેમ કારણ આપીને કોર્ટે આ મામલે દખલગીરી કરવાનો ઇન્કાર કરીને જનહિતની અરજી ફગાવી દીધી હતી.

વીઆઇપી પ્રવેશને લઇને શું અરજી કરવામાં આવી હતી ?

આ કેસ ઇન્દોરના રહેવાસી દર્પણ અવસ્થીની પીઆઈએલ સાથે સંબંધિત હતો. અરજીમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે મંદિર વહીવટ મનસ્વી રીતે કેટલાક પસંદ કરેલા લોકોને ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, જ્યારે સામાન્ય ભક્તોને બહારથી દર્શન કરવા પડે છે. અરજદારે તેને ભેદભાવ ગણાવ્યો અને કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી.

VIP વ્યક્તિઓની કોઈ કાયમી યાદી કે પ્રોટોકોલ નથી- હાઇકોર્ટ 

પરંતુ કોર્ટે કહ્યું કે મહાકાલ મંદિરની વ્યવસ્થાપન સમિતિની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે ગર્ભગૃહમાં પ્રવેશ સંપૂર્ણપણે જિલ્લા વહીવટીતંત્ર અને પ્રશાસકની પરવાનગી પર આધારિત છે. કોર્ટે એમ પણ ટિપ્પણી કરી હતી કે અરજદાર વ્યક્તિગત રીતે નારાજ દેખાય છે, તેથી તેના આધારે કેસ દાખલ કરી શકાતો નથી. હાઇકોર્ટે તેના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે મંદિરની વ્યવસ્થાપન સમિતિએ ક્યારેય VIP વ્યક્તિઓની કોઈ કાયમી યાદી કે પ્રોટોકોલ પ્રકાશિત કર્યો નથી. તેથી કોર્ટ નક્કી કરી શકતી નથી કે કોઈ ચોક્કસ દિવસે મંદિરમાં આવનાર વ્યક્તિને VIP ગણવામાં આવે.

બધા જ ધાર્મિક સ્થળોને લાગુ પડે છે આ નિર્ણય

બેન્ચે આ બાબતને ફક્ત મહાકાલ મંદિર સુધી મર્યાદિત રાખી ન હતી અને એમ પણ કહ્યું હતું કે આ વ્યવસ્થા દેશના તમામ ધાર્મિક સ્થળો પર લાગુ પડે છે. એટલે કે કોઈપણ મંદિર કે તીર્થસ્થળમાં VIP પ્રવેશનો નિર્ણય ત્યાંના વહીવટી સંચાલન દ્વારા લેવામાં આવશે, કોર્ટ તેમાં દખલ કરશે નહીં.


ઉજ્જૈનનું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ દેશના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ધાર્મિક પર્યટનનું એક મોટું કેન્દ્ર છે. દરરોજ હજારો ભક્તો ઇન્દોરથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા આ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર સમયાંતરે ગર્ભગૃહમાં પ્રવેશ અંગે ખાસ નિર્ણયો લે છે.


  • Follow us on: