ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સને લઈને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આગામી વર્ષથી મુંબઈ–પુણે બુલેટ ટ્રેન કોરિડોર પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને પુણે વચ્ચેનો 170 કિમીનો પ્રવાસ માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.
મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે
મંત્રીના જણાવ્યા મુજબ ભારત હવે બુલેટ ટ્રેન બનાવવાની ટેકનોલોજી અને ક્ષમતા ધરાવે છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી ચાલી રહ્યો છે, જ્યારે મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે. આ સાથે સરકારનું લક્ષ્ય અનેક શહેરોને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપી છે. તેમાં મુંબઈ–પુણે ઉપરાંત પુણે–હૈદરાબાદ, હૈદરાબાદ–બેંગલુરુ, હૈદરાબાદ–ચેન્નાઈ, ચેન્નાઈ–બેંગલુરુ, દિલ્હી–વારાણસી અને વારાણસી–સિલિગુડી જેવા મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે.













