દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ના કથિત પેપર લીક મામલે હવે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુરુવારે સંસદની શિક્ષણ સંબંધિત સ્થાયી સમિતિ સમક્ષ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ટોચના અધિકારીઓને હાજર રહેવા બોલાવવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ છે. બેઠક દરમિયાન વિપક્ષના સાંસદોએ NTA અધિકારીઓને તીખા સવાલો પૂછ્યા હતા.
એજન્સી હજુ સુધી તેને 'પેપર લીક' માનતી નથી
NTA તરફથી ચેરમેન પ્રદીપ કુમાર જોશી અને ડિરેક્ટર જનરલ અભિષેક સિંહ હાજર રહ્યા હતા. બેઠકમાં NTAના DG અભિષેક સિંહે સ્પષ્ટ કહ્યું કે પરીક્ષાનું પેપર તેમના સિસ્ટમમાંથી લીક થયું નથી અને એજન્સી હજુ સુધી તેને “પેપર લીક” માનતી નથી. આ નિવેદન બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યો કે જો પેપર લીક થયું જ નહોતું તો પરીક્ષા રદ કેમ કરવામાં આવી અને ફરી પરીક્ષા લેવાની જરૂર શા માટે પડી? અધિકારીઓએ જવાબમાં કહ્યું કે કેટલીક “ગેરરીતિઓ” સામે આવી હતી અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. જોકે વિપક્ષી સભ્યો NTAના જવાબોથી સંતુષ્ટ ન હતા.
