ઓડિશાના પારાદીપથી આયર્ન ઓર ભરીને સિંગાપોર તરફ જઈ રહેલું એક કાર્ગો જહાજ બંગાળની ખાડીમાં ડૂબી ગયું હતું.આ અકસ્માત પહેલાં જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તેના ડૂબવાના સમાચાર સામે આવ્યા હતા.બનાવની જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ દ્વારા બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.પનામાનો ધ્વજ ધરાવતું એમવી ઓશન વિનર નામનું આ જહાજ પારાદીપ તટથી આશરે 240 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં ડૂબ્યું હતું.

આ જહાજ પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા

આ જહાજ પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા જેમાંથી મળતી માહિતી મુજબ બે લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જ્યારે બાકીના સભ્યોની શોધખોળ ચાલુ છે. જહાજે 20 ઓગસ્ટની રાત્રે આશરે 10.42 વાગ્યે પારાદીપથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને તેમાં લગભગ 72100 મેટ્રિક ટન આયર્ન ઓર ભરેલું હતું.મુસાફરી દરમિયાન સંપર્ક તૂટી જતાં દરિયાઈ બચાવ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી.જેના આધારે કોસ્ટ ગાર્ડે લાઇફ રાફ્ટમાંથી બે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

https://twitter.com/ANI/status/2091238889101127870



સમુદ્રમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે 

આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે જહાજ કોઈ તકનીકી ખામી, ખરાબ હવામાન કે પછી અન્ય કોઈ ઈમરજન્સીના કારણે ડૂબ્યું છે. હાલમાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને નૌકાદળનું મુખ્ય લક્ષ્ય બાકીના ક્રૂ સભ્યોને શોધવાનું છે.આ માટે સમુદ્રમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આસપાસના વિસ્તારમાંથી પસાર થતાં અન્ય જહાજોને પણ એલર્ટ કરી બચાવ કામગીરીમાં મદદરૂપ થવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: ભૂગર્ભ જળ નિયંત્રણ માટે સરકાર કાયદો ઘડશે, આડેધડ દોહનમાં દંડ અને જેલની સજા