કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ બુધવારે લોકસભામાં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.જેનો વિપક્ષે જબરદસ્ત વિરોધ કર્યો છે. આ બિલમાં એવી જોગવાઇ છે કે પીએમ-મુખ્યમંત્રી અને મંત્રીઓ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. જો કે બિલમાં ખાસ વાત એ છે કે જેલમાંથી બહાર આવ્યા પછી મંત્રીને ફરીથી પદ પર નિયુક્ત કરી શકાય છે.
નવા 3 બિલનું નામ શું છે ?
- કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025
- સંવિધાન (130મું સંશોધન) 2025
- જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ, 2025
નવા કાયદો કોને કોને લાગુ પડે ?
- પ્રધાનમંત્રી
- મુખ્યમંત્રી
- કેન્દ્રીય મંત્રી
- રાજ્યોના મંત્રી
નવા 3 બિલમાં શું છે જોગવાઇ?
- 5 વર્ષથી વધારે સજા મળવા પર સીએમ અને મંત્રીની ધરપકડ થશે
- 30 દિવસ સુધી સતત કસ્ટડીમાં રહેવા પર પદ પરથી હટાવી શકાશે
- પદથી હટાવવા માટે પીએમ રાષ્ટ્રપતિને ભલામણ કરશે
- ધરપકડના 31માં દિવસ સુધી રાજીનામુ ન આપવા પર જાતે જ પદ પરથી દૂર થઇ જશે
- જો પીએમએ ભલામણ ન કરી તો પણ, 31માં દિવસે તો ખુરશી જતી જ રહેશે.
નવા 3 સુધારા બિલ લાવવાનું કારણ શું?
- હાલ પીએમ, મુખ્યમંત્રી કે મંત્રીને પદ છોડવાની કોઇ જોગવાઇ નથી.
- ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં તેઓ પદ પર રહી શકતા હતા
- કેજરીવાલ 177 દિવસ જેલમાં રહ્યા છતાં પણ મુખ્યમંત્રી રહ્યા
- દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન પણ જેલમાં રહ્યા છતાં મંત્રી રહ્યા
- તમિલનાડુના ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી પણ જેલમાં મંત્રી રહ્યા
- હવે નવા બિલમાં, જો કોઈ 30 દિવસ પણ જેલમાં રહે તો ખુરશી ગુમાવશે
- પીએમ આરોપી મુખ્યમંત્રી, મંત્રીને હટાવવાની ભલામણ કરી શકે છે
- જો પીએમ ભલામણ ન કરે તો પણ ખુરશી છોડવી પડશે
વિપક્ષ કેમ કરે છે વિરોધ ?
વિપક્ષનો દાવો છે કે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં વિપક્ષી દળોની સરકારના મુખ્યમંત્રીઓને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મનમાની રીતે ધરપકડ કરીને તેઓને તરતજ પદ પરથી હટાવી દઇને વિપક્ષને અસ્થિર કરીને કાયદો લાવવાની મનશા રાખે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓને ચૂંટણીમાં હરાવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેઓને હટાવવા માટે આવો કાયદો લાવવા માગે છે.
તો અન્ય વિપક્ષી નેતાનું ગૌરવ ગોગોઇનું કહેવુ છે કે બિલનો ઉદ્દેશ્ય બિહારમાં રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો તો ટીએમસી સાંસદ સાગરિકા ઘોષનું કહેવુ છે કે આ બિલ લાવવાથી મુખ્યમંત્રીઓને ટાર્ગેટ બનાવવા માટે હાલની એજન્સીઓનો વધુ દુરુપયોગ કરવાનો રસ્તો ખૂલી ગયો છે.
વિપક્ષ વતી અસદુદ્દીન ઓવૈસી, મનીષ તિવારી અને એનકે પ્રેમચંદ્રને આ બિલનો વિરોધ કર્યો. એન. કે પ્રેમચંદ્રને કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે. આ વિપક્ષી સરકારોને અસ્થિર કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. એન.કે પ્રેમચંદ્રનના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે અમે આ બિલને સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છીએ.