નવી દિલ્હીમાં આયોજિત 18 મી બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને સાર્થક બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં બંને અગ્રણી નેતાઓએ વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને સ્થિર બનાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિએ આ બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન એકબીજાના સાથી અને સાચા ભાગીદાર છે, કોઈ હરીફ નથી.
બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ મળી
ચર્ચા દરમિયાન શી જિનપિંગે નોંધ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં પીએમ મોદી સાથે થયેલી બેઠકોથી બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ મળી છે. બંને દેશો વચ્ચે સંસ્થાકીય આદાનપ્રદાન ફરીથી વેગવંતુ બન્યું છે, સહયોગ પ્રોજેક્ટ્સનો વ્યાપ વધ્યો છે અને દ્વિપક્ષીય વેપાર નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. બંને દેશોની આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓ અલગ હોવા છતાં, ભારત અને ચીન એકબીજાની શક્તિઓને પૂરક બની શકે છે અને પરસ્પર સમર્થનથી સાથે મળીને પ્રગતિ કરી શકે છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો અને 'ગ્લોબલ સાઉથ'ના અગ્રણી સભ્યો તરીકે, બદલાતા વૈશ્વિક પરિદૃશ્યમાં તેમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે.
