સુપ્રીમ કોર્ટે પોક્સો કાયદા હેઠળ બાળકોની સુરક્ષાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ સગીર બાળક કોઈ વ્યક્તિને પોતાની સાથે યૌન શોષણ થયું હોવાની અથવા થવા જઈ રહ્યું હોવાની વાત કરે તો તે વ્યક્તિની આ કાયદાકીય જવાબદારી બને છે કે તે તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત અધિકારીઓને તેની જાણ કરે.આવી સ્થિતિમાં બાળકની વાતને ગંભીર અને ભરોસાપાત્ર માનવામાં આવશે.
બાળકની આપવીતી જ કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર
સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે,બાળકની વાત સાંભળ્યા પછી કોઈ પણ વ્યક્તિ એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે તેણે આ ઘટના પોતાની નજરે જોઈ નથી અથવા બાળકના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી.બાળકની આપવીતી જ કાર્યવાહી કરવા માટે પૂરતો આધાર છે.જો કોઈ બાળક ડર કે સંકોચના કારણે આખી વાત સ્પષ્ટ રીતે ન કહી શકતું હોય તો તેની સાથે પ્રેમ અને સંવેદનશીલતાપૂર્વક વાત કરીને કેટલાક જરૂરી પ્રશ્નો પૂછી શકાય છે.જોકે,આ સવાલો બાળકની ફરિયાદને ખોટી સાબિત કરવા માટે નહીં,પરંતુ તેની સાથે બનેલી ઘટનાની સચ્ચાઈને સમજવા માટે હોવા જોઈએ.
