ઝારખંડમાં JPSC અને JSSC ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. સોમવારે હજારો વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ માટે નીકળ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ, ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હોવાની માહિતી સામે આવી છે. વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને લઈને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને આ મુદ્દો તાત્કાલિક ઉકેલવાની અપીલ કરી છે.
વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો ખોટું
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવો ખોટું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે અને વાતચીત દ્વારા જ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તેમણે ઝારખંડ સરકારને વિદ્યાર્થીઓની વાત સાંભળીને તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની અપીલ કરી હતી.
ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓનો વિદ્યાર્થીઓનો આરોપ
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદારી અને નિષ્પક્ષતાની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ છે. સોમવારે પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને વિધાનસભા તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
https://twitter.com/RahulGandhi/status/2086790769202073986
ત્યારબાદ પોલીસે તેમને રોકવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની માગણીઓ પૂરી ન થાય અને કથિત ગેરરીતિઓ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
CIDએ મોટી કાર્યવાહી કરી
આ દરમિયાન આ મામલે ઝારખંડ પોલીસની CIDએ મોટી કાર્યવાહી કરી છે. CIDએ સોમવારે JPSCના પૂર્વ અધ્યક્ષ એલ. ખિયાંગ્તેની ધરપકડ કરી છે. પરીક્ષામાં કથિત અનિયમિતતાઓની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ઝારખંડમાં JMMની સરકાર છે, જે કોંગ્રેસ સાથે INDIA ગઠબંધનનો ભાગ છે. વિદ્યાર્થીઓના આંદોલન અને પોલીસ કાર્યવાહી વચ્ચે હવે સરકાર પર સમગ્ર મામલાનો ઝડપી ઉકેલ લાવવાનું દબાણ વધી રહ્યું છે.
આ પણ વાંચો: Uttarakhand : ચમોલીમાં વાદળ ફાટ્યુ, તમક નાળામાં પૂર આવતા પુલ તણાયો, BRO કર્મચારી લાપતા