મણિપુરમાં લાંબા સમયથી લાગુ પડેલું રાષ્ટ્રપતિ શાસન હવે હટાવવાની તૈયારી ચાલી રહી છે. ફેબ્રુઆરી 2025માં તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા અને ત્યારબાદ થયેલી હિંસક ઘટનાઓ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, રાજ્યનો સમગ્ર વહીવટ કેન્દ્ર સરકાર અને રાજ્યપાલના નિયંત્રણ હેઠળ રહ્યો હતો.
ચૂંટાયેલી સરકાર રચવાનો માર્ગ
હવે પરિસ્થિતિમાં થોડી સ્થિરતા આવતા, રાજ્યમાં ફરીથી ચૂંટાયેલી સરકાર રચવાનો માર્ગ ખુલ્યો છે. ભાજપ વિધાનસભા પક્ષે યુમનામ ખેમચંદ સિંહને પોતાનો નેતા તરીકે પસંદ કર્યા છે અને તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે એવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
યુમનામ ખેમચંદ સિંહ કોણ છે?
યુમનામ ખેમચંદ સિંહ અનુભવી નેતા છે. તેઓ અગાઉ N. બિરેન સિંહની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2017 અને 2022માં સિંગજામેઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. આ ઉપરાંત, તેઓ મણિપુર વિધાનસભાના સ્પીકર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે, જેના કારણે તેમને વહીવટી અને ધારાસભાકીય બંને અનુભવ છે.
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન શું સ્થિતિ રહે છે?
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સસ્પેન્ડ રહે છે. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદને કોઈ સત્તા રહેતી નથી. રાજ્યપાલ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય ચલાવે છે. બજેટ, કાયદો-વ્યવસ્થા, વિકાસ યોજનાઓ જેવા તમામ મહત્વપૂર્ણ નિર્ણયો દિલ્હીથી લેવાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મર્યાદિત બની જાય છે.
રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ શું બદલાશે?
જ્યારે રાષ્ટ્રપતિ શાસન હટશે, ત્યારે બંધારણીય રીતે ચૂંટાયેલી સરકાર ફરી સક્રિય થશે. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદને કારોબારી સત્તા પાછી મળશે. રાજ્યના રોજિંદા વહીવટી નિર્ણય, વિકાસ યોજનાઓ અને શાસન પ્રક્રિયા ફરી રાજ્ય સરકારના હાથમાં આવશે.
મુખ્યમંત્રીની મુખ્ય સત્તાઓ
મુખ્યમંત્રીની સૌથી મોટી તાકાત મંત્રી પરિષદની રચના છે. તેઓ રાજ્યપાલને સલાહ આપે છે કે કોને મંત્રી બનાવવાના. વિભાગોની ફાળવણી કરવી, મંત્રીઓ પાસેથી જવાબદારી લેવી અને જરૂરી પડે ત્યારે રાજીનામું માંગવું – આ બધું મુખ્યમંત્રીની સત્તામાં આવે છે. જો મુખ્યમંત્રી રાજીનામું આપે, તો આખી મંત્રી પરિષદ પણ વિખૂટા પડે છે.
રાજ્યપાલ સાથેનો સંબંધ
બંધારણના અનુચ્છેદ 167 મુજબ, મુખ્યમંત્રી રાજ્યપાલ અને મંત્રી પરિષદ વચ્ચે મહત્વપૂર્ણ કડી છે. રાજ્યપાલ જ્યારે પણ માહિતી માંગે, ત્યારે મુખ્યમંત્રીને તે આપવી ફરજિયાત છે. કોઈ નિર્ણય મંત્રીમંડળની મંજૂરી વિના લેવાયો હોય, તો રાજ્યપાલ તેને ફરી ચર્ચા માટે મોકલી શકે છે.
વિધાનસભામાં ભૂમિકા
મુખ્યમંત્રી વિધાનસભાના નેતા હોય છે. વિધાનસભા બોલાવવી, મુલતવી રાખવી કે વિસર્જન કરવું – આ તમામ બાબતોમાં તેઓ રાજ્યપાલને સલાહ આપે છે. બજેટ રજૂ કરવું, કાયદા બનાવવું અને ગૃહમાં સરકારનું પ્રતિનિધિત્વ કરવું તેમની મુખ્ય જવાબદારી છે.
નાણાં અને આપત્તિ વ્યવસ્થાપન
રાજ્યના બજેટ, નાણાકીય પ્રાથમિકતાઓ અને આપત્તિ વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી સીધા જવાબદાર હોય છે. મણિપુર જેવા સંવેદનશીલ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી અને શાંતિ સ્થાપિત કરવી નવા મુખ્યમંત્રી માટે સૌથી મોટો પડકાર રહેશે.
આ પણ વાંચો : Korean lovers game : બ્લુ વ્હેલથી કોરિયન પ્રેમી સુધી... ઓનલાઈન ચેલેન્જ કેવી રીતે જીવલેણ બની જાય છે?