રાયપુર એરપોર્ટ પર ત્યારે અફરા-તફરી જોવા મળી જ્યારે દિલ્હીથી આવેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6312ના મુખ્ય દ્વારમાં ખામી સર્જાઇ હતી. ટેક્નિકલ ખામીના કારણે આ મુખ્ય દ્વાર ખુલી શક્યો ન હતો. આ ફ્લાઇટમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પણ સવાર હતા. આ સિવાય ધારાસભ્ય ચતુરી નંદ, મેયર મીનલ ચૌબે સહિત અનેક યાત્રીઓના જીવ અધ્ધર જોવા મળ્યા હતા.
ટેક્નિકલ ખામી સર્જાતા ડરનો માહોલ
દિલ્હીથી રાયપુર આવેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ખામી સર્જાઇ હતી. ફ્લાઇટનો મુખ્ય દરવાજો ખુલ્યો ન હતો. જેના કારણે યાત્રીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રીઓની સાથે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. સમયસર દરવાજો ન ખુલતા યાત્રીઓ બેચેન થતા જોવા મળ્યા હતા. પરંતુ 30 મિનિટ બાદ મુખ્ય દરવાજો ખુલતા યાત્રીઓ બહાર નિકળ્યા હતા. બાદમાં ભૂપેશ બઘેલે જણાવ્યુ હતુ કે, ટેક્નિકલ કારણોસર આ દરવાજો ખુલ્યો ન હતો. પરંતુ અડધા કલાક બાદ પરિસ્થિતિ થાળે પડી હતી. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.
ઇન્ડિગો એરલાઇન્સની કોઇ પ્રતિક્રિયા નહી
ફ્લાઇટનો મુખ્ય દરવાજો ન ખુલવાની ઘટના બાદ ઇન્ડિગો એરલાઇન્સે કોઇ નિવેદન કે પ્રતિક્રિયા આપી નથી. યાત્રીઓએ જણાવ્યુ છે કે, આની સમસ્યા ફ્લાઇટમાં થાય છે. તો તેનું નિવારણ કરવું પણ જરુરી છે. યાત્રીઓએ વધુમાં કહ્યુ હતુ કે, તેમની સુરક્ષાની જવાબદારી કોણ લેશે. આ પ્રકારના કિસ્સાઓ ડરનો માહોલ પેદા કરી રહ્યા છે. અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશની ઘટના બાદ તંત્ર જાગ્યુ છે. અને ફ્લાઇટમાં કઇ ખામીઓ છે તે દૂર કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.