ઉત્તરાખંડના પ્રસિદ્ધ અને શ્રદ્ધાળુઓમાં હનુમાનજીનો અવતાર ગણાતા પૂજ્ય સંત નીમ કરોલી બાબાનો ‘મહાસમાધિ દિવસ’ શુક્રવાર, તા. 11 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી ઉજવાશે. રાંચરડા ખાતે આવેલ શ્રી સંકટમોચન હનુમાન નીમ કરોલી બાબા મંદિર ખાતે આ નિમિત્તે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
દિવસભરના ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું આયોજન
મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉજવણીનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે નીમ કરોલી બાબાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે. સાંજે 8:30 વાગ્યે 11 હનુમાન ચાલીસાના સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર્શનાર્થે આવતા તમામ ભક્તો માટે સમગ્ર દિવસ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિશ્રામ અવસ્થામાં બિરાજમાન હનુમાનજીનું ભારતનું ચોથું દિવ્ય મંદિર
આ ધામની વિશેષતા એ છે કે, સમગ્ર ભારતમાં આ ચોથું એવું દિવ્ય મંદિર છે, જ્યાં હનુમાનજી મહારાજ વિશ્રામ અવસ્થામાં બિરાજમાન છે. શ્રદ્ધાળુઓની આસ્થાના આ કેન્દ્ર ખાતે દર રવિવારે સાંજે 5:30 વાગ્યે સુંદરકાંડના પાઠનું પણ નિયમિત આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.

"Love All, Serve All, Feed All"ના સૂત્ર સાથે માનવ સેવા
સંત નીમ કરોલી બાબાની અમૂલ્ય શિક્ષા 'સૌને પ્રેમ કરો, સૌની સેવા કરો, સૌને ભોજન કરાવો'ને સાર્થક કરતા મંદિર મારફતે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવાય છે. મંદિરના 3 'રામ રોટી સેવા રથ' મારફતે દરરોજ નિયમિતપણે આશરે 500 જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવે છે. બાબાના આશીર્વાદથી આ ધામ સતત શ્રદ્ધા, આસ્થા અને માનવ સેવાનું પવિત્ર કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો: Hanuman Ansh Team Meets CM Yogi: ‘હનુમાન અંશ’ની ટીમ પહોંચી CM યોગીના દરબારમાં!