લદ્દાખના પર્યાવરણ કાર્યકર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને પત્ર લખીને પોતાની માગણીઓ અને ચિંતાઓ વ્યક્ત કરી છે. વાંગચુકે પત્રમાં જણાવ્યું કે હોસ્પિટલમાં મુલાકાત દરમિયાન બંને મંત્રીઓએ તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી હતી અને કેટલીક બાબતો પર સરકાર દ્વારા સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી.
https://twitter.com/Wangchuk66/status/2079891622490439819
શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર પણ વિચાર કરવામાં આવે
વાંગચુકે સરકાર સમક્ષ મુખ્ય માગણીઓ રજૂ કરતાં કહ્યું કે પરીક્ષા પેપર લીક બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે. આ ઉપરાંત સંસદમાં જવાબદારી નક્કી કરવા માટે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ પર પણ વિચાર કરવામાં આવે.
પોલીસ દ્વારા અતિશય બળનો ઉપયોગ કરવામાં આવ્યો
તેમણે 20 જુલાઈ 2026ના રોજ યોજાયેલી ‘ચલે સંસદ’ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું. વાંગચુકે આરોપ લગાવ્યો કે આ દરમિયાન પોલીસ દ્વારા અતિશય બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે સરકારને અપીલ કરી કે આ આંદોલનમાં સામેલ કોઈપણ યુવા પ્રદર્શનકારીઓ સામે કાનૂની કાર્યવાહી, હેરાનગતિ કે બદલો લેવાની કાર્યવાહી ન કરવામાં આવે.
યુવાનોના હિત સાથે સમાધાન નહીં
પત્રમાં વાંગચુકે જણાવ્યું કે વિવિધ રાજકીય પક્ષોના લગભગ 65 સાંસદોએ તેમને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેઓ જીવવા માગે છે અને ફરીથી પોતાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણના કાર્ય સાથે જોડાવા માગે છે, પરંતુ આંદોલન પાછળના યુવાનોના હિત સાથે સમાધાન કરી શકે તેમ નથી.
સરકાર આશ્વાસન આપે તો ઉપવાસ સમાપ્ત કરીશ
સોનમ વાંગચુકે સ્પષ્ટ કર્યું કે જો સરકાર યુવા પ્રદર્શનકારીઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાની ખાતરી આપે તો તેઓ વિશ્વાસ સાથે ઉપવાસ સમાપ્ત કરશે. પરંતુ આવી ખાતરી ન મળે તો તેઓ અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ ચાલુ રાખવા મજબૂર થશે. તેમણે લોકશાહીમાં યુવાનોના અવાજનું સન્માન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : Rahul Gandhiએ કહ્યું 'વિદ્યાર્થીઓને સુરક્ષાદળોએ માર માર્યો'