ગુરુવારે સાંજે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર થયેલા પથ્થરમારાની ઘટનાથી રેલવે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના કોચને નુકસાન થયું હતું. મહત્વની વાત એ છે કે આ ટ્રેનના E1 કોચમાં આરએસએસ (RSS) ના વડા મોહન ભાગવત પણ મુસાફરી કરી રહ્યા હતા, જેઓ આ હુમલામાં આબાદ બચી ગયા હતા.


અજાણ્યા શખ્સે કર્યો પથરાવ

પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.45 વાગ્યાના સુમારે બની હતી. જ્યારે ટ્રેન ઈટાવા-ટુંડલા રેલવે લાઈન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ફિરોઝાબાદ અને માખણપુરની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે ટ્રેન પર જોરદાર પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો કોચ E1 માં સીટ નંબર ૫૩-૫૪ પાસે વાગતા બારીનો કાચ તૂટીને ચકનાચૂર થઈ ગયો હતો. જે સમયે આ ઘટના બની, તે સમયે મોહન ભાગવત પણ તે જ કોચમાં સવાર હતા. તેઓ કાનપુરથી દિલ્હી એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટ

પથ્થરમારાની ઘટના બાદ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે ટુંડલા સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેનને બાહ્ય ટ્રેક પર થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જેમાં પોલીસ અધિક્ષક આદિત્ય લગાહ, રેલવે પોલીસના અધિકારી અનિલ ઝા અને અન્ય પોલીસ દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.

ટ્રેનમાં આરએસએસ મોહન ભાગવત હતા હાજર

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને કારણે ટ્રેન મોડી દિલ્હી પહોંચી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ સબમિટ થયા બાદ જ હુમલા પાછળનો ચોક્કસ ઈરાદો અને સંપૂર્ણ વિગતો સામે આવશે. આરએસએસ વડા મોહન ભાગવત આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે.

આ પણ વાંચોઃ Delhi ના તુગલકાબાદમાં પાર્ક કરેલા વાહનોમાં લાગી ભીષણ આગ, 3 લોકોના મોત

  • Follow us on: