તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કાનૂની કાર્યવાહી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અંધાધૂંધ ઉપયોગ સામે આકરા પ્રહારો કર્યા છે. એસ્સેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના નાદારી કેસની સુનાવણી દરમિયાન, કોર્ટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના નિર્ણય પર ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે આ નિર્ણય AI દ્વારા બનાવવામાં આવેલી કેટલીક અસ્તિત્વમાં ન હોય તેવી અને બનાવટી સામગ્રી પર આધારિત હતો.

વિનાશક અસરની ચેતવણી

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે ન્યાયિક નિર્ણયોમાં AI દ્વારા તૈયાર કરવામાં આવેલી બનાવટી માહિતીનો ઉપયોગ 'મિથાઈલ આઇસોસાયનેટ ગેસના લીક' જેવો ઘાતક છે. કોર્ટે કહ્યું કે આ અદ્રશ્ય અને ખતરનાક પ્રક્રિયા ન્યાયિક નિર્ણય લેવાના પાયાને અંદરથી દૂષિત કરે છે. જ્યારે આવી માહિતીનો ઉપયોગ કાનૂની ઉદાહરણ તરીકે કરવામાં આવે, ત્યારે તે આખી ન્યાયિક પ્રક્રિયાની વિશ્વસનીયતાને નષ્ટ કરી દે છે.

માનવ હસ્તક્ષેપની અનિવાર્યતા

કોર્ટે સ્વીકાર્યું કે આજના ઝડપી યુગમાં ટેકનોલોજી અને AI કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે, પરંતુ તેને 'નિર્ણય લેનાર' તરીકે સ્વીકારી શકાય નહીં. અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે AI નો ઉપયોગ માત્ર એક સહાયક સાધન (Facilitator) તરીકે થઈ શકે છે, પરંતુ નિર્ણય લેવાની અંતિમ અને સંપૂર્ણ જવાબદારી હંમેશા માનવી પાસે જ હોવી જોઈએ. જો ટેકનોલોજી પર અતિશય નિર્ભરતા રાખવામાં આવશે, તો તે આપણા તર્ક અને નિર્ણય લેવાની ક્ષમતાને ખતમ કરી શકે છે.

જાણો શું છે સમગ્ર મામલો

આ સમગ્ર મામલો પૂજા રમેશ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે, જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીર બેંક સંબંધિત એક નાદારીના કેસમાં NCLT ના આદેશને પડકાર્યો હતો. NCLT અને NCLAT એ એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ સામેની નાદારી અરજીને મંજૂરી આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની તપાસમાં બહાર આવ્યું કે આ નિર્ણયો પાયાવિહોણી અને AI દ્વારા બનાવેલી નકલી માહિતીના આધારે લેવામાં આવ્યા હતા. પરિણામે, સુપ્રીમ કોર્ટે બંને ટ્રિબ્યુનલના આદેશો રદ કરી તથ્યોના આધારે નવેસરથી નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

તપાસ માટે સમિતિ બનાવવા નિર્દેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આ મામલાની તપાસ માટે સમિતિ બનાવવા નિર્દેશ આપ્યો છે. આ આદેશ ન્યાયતંત્ર માટે એક મોટી ચેતવણી છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પરંતુ ન્યાયના મંદિરમાં 'માનવીય વિવેકબુદ્ધિ' અને 'સત્યતાની ચકાસણી' વગર કોઈ પણ નિર્ણય લેવો દેશની ન્યાયિક વ્યવસ્થા માટે ખતરારૂપ બની શકે છે. કોર્ટની આ ટિપ્પણી દર્શાવે છે કે ન્યાય પ્રક્રિયામાં તકનીકી આધુનિકીકરણ અને સાવચેતી વચ્ચે સંતુલન રાખવું અત્યંત આવશ્યક છે.

આ પણ વાંચોઃ  Venezuela નું આકાશ થયું લાલ, રહસ્યમયી દ્રશ્યો પાછળનું કારણ આવ્યું સામે...