ટ્વીશા શર્માના શંકાસ્પદ મૃત્યુના કેસમાં AIIMS દિલ્હીના મેડિકલ બોર્ડ દ્વારા CBI ને સોંપવામાં આવેલો અંતિમ ફોરેન્સિક રિપોર્ટ તપાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ પર કરવામાં આવેલા આ બીજા પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારા પુરાવા હાથ લાગ્યા છે. રિપોર્ટ મુજબ, ફાંસી માટે કથિત રીતે ઉપયોગમાં લેવાયેલા જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર માનવ ત્વચાના ટિશ્યુ (પેશીઓ) મળી આવ્યા છે, જે ટ્વીશાના ગળા પરના ઈજાના નિશાન સાથે સંપૂર્ણપણે મેળ ખાય છે.
હાઈકોર્ટે કેસની તપાસ CBI ને સોંપી હતી
ભોપાલમાં સાસરિયાના ઘરે 12 મેના રોજ ટ્વીશા શર્મા લટકતી હાલતમાં મળી આવી હતી. પ્રથમ પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હોવાના પરિવાજનોના આક્ષેપો બાદ મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેસની તપાસ CBI ને સોંપી હતી અને દિલ્હી AIIMS ના પાંચ સભ્યોના નિષ્ણાત બોર્ડ દ્વારા બીજા પોસ્ટમોર્ટમનો આદેશ આપ્યો હતો. 24 મેના રોજ AIIMS ની ટીમ દ્વારા આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તપાસના ભાગરૂપે ઘટનાસ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી.
ફોરેન્સિક રિપોર્ટના મુખ્ય તારણો
AIIMS ના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં તૈયાર કરાયેલ આ 11 પાનાનો રિપોર્ટ 10 જુલાઈના રોજ સીલબંધ પરબિડીયામાં CBI ને સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણો દ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જે જિમ્નેસ્ટિક્સ બેલ્ટનો ઉપયોગ ફાંસી માટે થયો હોવાની શંકા હતી, તેના પર ત્વચાના પેશીઓ હાજર હતા. આ વૈજ્ઞાનિક પુરાવો ત્વિષાના ગળા પર જોવા મળેલી ઈજાની પેટર્ન સાથે મળતો આવે છે, જે કેસના ઉકેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ન્યાયની આશા
હાલમાં આ રિપોર્ટ અને વીડિયોટેપ ફૂટેજ CBI ની કસ્ટડીમાં છે. નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહની પુત્રવધૂ ત્વિષાના મૃત્યુ પછી તેના પરિવાર દ્વારા સતત ન્યાય માટે લડત આપવામાં આવી રહી છે. પ્રથમ તપાસમાં રહેલી અસ્પષ્ટતાઓને કારણે આ બીજું પોસ્ટમોર્ટમ આ કેસમાં સત્ય ઉજાગર કરવામાં નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે. વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે હવે CBI આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરશે. સમગ્ર પ્રકરણમાં આ રિપોર્ટ કાયદાકીય પ્રક્રિયામાં એક મજબૂત કડી તરીકે કામ કરશે, જેનાથી દોષિતો સુધી પહોંચવામાં તપાસ એજન્સીને મોટી મદદ મળશે.
આ પણ વાંચોઃ Vietnam boat tragedy: લાવા કંપનીએ આપેલી ઇન્સેટિવ ટ્રિપનો આવ્યો કરૂણ અંત, 15 ભારતીયોના મોતથી દેશભરમાં શોક