Andhra Pradeshમાં એક ગ્રાહક આયોગે MRP કરતાં વધુ ભાવે પાણીની બોટલ વેચવાના મામલે દુકાનદાર પર ₹7 લાખનો ભારે દંડ ફટકાર્યો છે. આરોપ હતો કે દુકાનદારે ₹18ની પાણીની બોટલ માટે ગ્રાહક પાસેથી ₹25 વસૂલ્યા હતા.

₹7 પરત, વળતર અને કોર્ટ ખર્ચ ચૂકવવાનો આદેશ

આયોગના અધ્યક્ષ C.H. રઘુપતિ વસંત કુમાર અને સભ્યો ચક્કા સુસી તથા છાગંટી નાગેશ્વર રાવની બેન્ચે દુકાનદારને ગ્રાહક પાસેથી લીધેલા વધારાના ₹7 પરત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગ્રાહકને ₹10,000 વળતર અને ₹5,000 કોર્ટ ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે. જ્યારે ₹7 લાખનો દંડ ‘ઉપભોક્તા કલ્યાણ કોષ’માં જમા કરાવવાનો રહેશે. આયોગે પોતાના નિર્ણયમાં કહ્યું કે અનુચિત વેપારી પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે દુકાનદાર પર ₹7 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. આ રકમ ઉપભોક્તા કલ્યાણ કોષમાં જમા થશે.

MRP કરતાં વધુ ભાવ લેવાનો દાવો 

ફરિયાદી ગ્રાહકે જણાવ્યું કે તે મંદિરના દર્શન માટે ગયો હતો. ત્યાં મંદિર પરિસરમાં આવેલી એક દુકાનમાંથી તેણે એક લીટર પાણીની બોટલ ખરીદી હતી. બોટલ પર MRP ₹18 લખેલી હતી, પરંતુ દુકાનદારે તેની પાસેથી ₹25 લીધા હતા. ગ્રાહકે જ્યારે વધુ પૈસા લેવા અંગે વિરોધ કર્યો ત્યારે દુકાનદારે કહ્યું કે તેને MRP કરતાં વધુ ભાવમાં વસ્તુ વેચવાની મંજૂરી મળી છે. ત્યારબાદ ગ્રાહકે આ મામલે ગ્રાહક આયોગમાં ફરિયાદ કરી હતી.

દુકાનદારનો અલગ દાવો

સુનાવણી દરમિયાન દુકાનદારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે દાવો કર્યો કે ₹25 પાણીની બોટલના નહોતા, પરંતુ ₹20ની કોલ્ડ ડ્રિંક અને ₹5ના બિસ્કિટના પેકેટ માટે ચૂકવવામાં આવ્યા હતા. દુકાનદારે એ પણ કહ્યું કે મંદિર પરિસરમાં અનેક જગ્યાએ મફત પીવાનું પાણી ઉપલબ્ધ છે. આ કેસમાં મંદિરના કાર્યકારી અધિકારીને પણ પ્રથમ પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે પોતાની જવાબદારી નકારી હતી. તેમણે કહ્યું કે દુકાનનું સંચાલન એક લાઇસન્સધારક દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે.

પુરાવાથી ગ્રાહકનો દાવો સાબિત થયો

મંદિર પ્રશાસને આયોગને જણાવ્યું કે દુકાનદાર વિરુદ્ધ અગાઉ પણ વધુ ભાવ વસૂલવાની ફરિયાદો મળી હતી. આ મામલે મંદિર પ્રશાસને દુકાનદારને અગાઉ નોટિસ પણ આપી હતી અને તેના સંબંધિત દસ્તાવેજો આયોગ સમક્ષ રજૂ કર્યા હતા. આયોગે તપાસમાં જણાવ્યું કે ગ્રાહકનો દાવો ચુકવણીના રેકોર્ડ, MRP દર્શાવતી પાણીની બોટલના ફોટા અને વીડિયો રેકોર્ડિંગથી સાબિત થાય છે.

દુકાનદાર પોતાનો દાવો સાબિત ન કરી શક્યો

બીજી તરફ, દુકાનદારે કોલ્ડ ડ્રિંક અને બિસ્કિટ વેચ્યાના પોતાના દાવાને સાબિત કરવા માટે ઇલેક્ટ્રોનિક બિલિંગ રેકોર્ડ અથવા CCTV ફૂટેજ રજૂ કર્યા નહોતા. ગ્રાહક આયોગે કહ્યું કે આ વેચાણ એવા મંદિર પરિસરમાં થયું હતું, જે આંધ્રપ્રદેશના સૌથી વ્યસ્ત તીર્થસ્થળોમાંનું એક છે અને જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

શ્રદ્ધાળુઓને જરૂરી વસ્તુ મોંઘી ખરીદવી પડી શકે

આયોગે કહ્યું કે આવા સ્થળોએ આવતા ગ્રાહકો પાસે સમય ઓછો હોય છે, બીજી દુકાન શોધવાના વિકલ્પો મર્યાદિત હોય છે અને ઘણી વખત તેમને જરૂરી વસ્તુની તાત્કાલિક જરૂર હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને દુકાનદાર દ્વારા માંગવામાં આવેલી કિંમતે વસ્તુ ખરીદવાની ફરજ પડી શકે છે. આયોગે માન્યું કે MRP કરતાં વધુ ભાવ વસૂલવો એ સામાન્ય ભૂલ નહીં પરંતુ ગ્રાહક પાસેથી અનુચિત નફો મેળવવાની રીત છે. માત્ર વધારાની રકમ પરત કરી દેવી અથવા નામમાત્રનું વળતર આપવું એ ગ્રાહક સંરક્ષણ કાયદાના હેતુને પૂરતું નથી.

₹7 લાખનો દંડ કેમ?

આ કારણોસર આયોગે ₹7 લાખનો દંડ ફટકાર્યો છે, જેથી આવી રીતે MRP કરતાં વધુ ભાવ વસૂલવાની ઘટનાઓ સામે કડક સંદેશ જાય અને ભવિષ્યમાં આવી હરકતોને રોકી શકાય. આયોગે મંદિરના કાર્યકારી અધિકારી સામેની ફરિયાદને ફગાવી દીધી હતી. કારણ કે મંદિર પ્રશાસને દુકાનદારને MRP કરતાં વધુ ભાવ વસૂલવાનો કોઈ આદેશ આપ્યો હતો અથવા તેને પ્રોત્સાહન આપ્યું હતું, તેવું સાબિત કરતો કોઈ પુરાવો મળ્યો નહોતો.

આ પણ વાંચો: નરોડામાં દુકાનદારોએ ફૂટપાથ અને રોડનો અડધો હિસ્સો કબ્જે કરી લીધો