ચક્રવાતી તોફાન 'દિતવાહ'ને કારણે પાડોશી દેશ શ્રીલંકામાં સર્જાયેલી ભારે તબાહી અને 334 લોકોના મૃત્યુ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં થયેલા જાન-માલના નુકસાન અંગે ગહન શોક વ્યક્ત કર્યો અને આ મુશ્કેલ સમયમાં શ્રીલંકાના લોકો સાથે મજબૂતીથી ઊભા રહેવાનો ભરોસો આપ્યો હતો.


'ઓપરેશન સાગર બંધુ' હેઠળ સતત સહાય

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ દિસાનાયકેને ખાતરી આપી કે, ભારત 'ઓપરેશન સાગર બંધુ' હેઠળ શ્રીલંકાને સતત સહાય પૂરી પાડશે. તેમણે જણાવ્યું કે, ભારતીય બચાવ ટુકડીઓ અને રાહત સામગ્રી (દવાઓ, ખોરાક, પાણી) શ્રીલંકામાં પહોંચી ગઈ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સક્રિયપણે કામ કરી રહી છે. ભારતીય વાયુસેનાએ પણ અત્યાર સુધીમાં 40 શ્રીલંકાના સૈનિકો અને 104 ભારતીયોને બચાવ્યા છે.




રાષ્ટ્રપતિ દિસાનાયકે આભાર વ્યક્ત કર્યો

રાષ્ટ્રપતિ દિસાનાયકેએ ભારત દ્વારા સમયસર અને અસરકારક રીતે આપવામાં આવેલી તાત્કાલિક સહાય માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતીય બચાવ ટુકડીઓની ઝડપી તૈનાતીની સરાહના કરી હતી, જેના કારણે રાહત કાર્યોમાં ઝડપ આવી છે. વડાપ્રધાન મોદીએ પુનર્વસન, જાહેર સેવાઓ અને આજીવિકાને પાટા પર લાવવામાં પણ ભારત વ્યાપક મદદ આપશે તેમ જણાવીને, 'સહયોગ અને માનવીય સહાયતા સૌથી ઉપર' રાખવાના ભારતના વિઝન પર ભાર મૂક્યો છે.




આ પણ વાંચો - Cyclone Ditwah: દિતવાહે શ્રીલંકામાં મચાવી તબાહી, 334 લોકોના થયા મોત, 370 હજુ પણ ગુમ


  • Follow us on: