ભારત અને જર્મની વચ્ચે દરિયાઈ ક્ષમતાઓને અત્યંત મજબૂત બનાવતી દિશામાં એક મોટો કરાર થવા જઈ રહ્યો છે. ભારતમાં જર્મન રાજદૂત ફિલિપ એકરમેને જણાવ્યું છે કે ભારત અને જર્મની ટૂંક સમયમાં જ અંદાજે 8 અબજ યુરો એટલે કે 90,000 કરોડ રૂપિયાથી વધુના પ્રસ્તાવિત સોદા પર હસ્તાક્ષર કરશે.
જર્મની સાથે મળીને જ બનાવાશે સબમરીન
મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ 75I અંતર્ગત થનારા આ મહત્વપૂર્ણ કરાર હેઠળ ભારતીય નૌકાદળ માટે ભારતમાં જ છ આગામી પેઢીની પરંપરાગત સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. આ ઐતિહાસિક સોદા માટે જર્મનીની પ્રખ્યાત કંપની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS) અને ભારતની સરકારી માલિકીની કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ વચ્ચે ભાગીદારી થઈ રહી છે.
દેશમાં જ બનશે અત્યાધુનિક સબમરીન
આ સોદાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સબમરીન મેળવવાનો જ નથી, પરંતુ દેશની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવાનો અને ભવિષ્ય માટે સ્વદેશી ડિઝાઇન ક્ષમતાઓ વિકસાવવાનો છે. આ હેતુસર TKMS દ્વારા ભારતમાં અનેક અગ્રણી કંપનીઓ સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે. જર્મન કંપનીએ હૈદરાબાદ સ્થિત VEM ટેક્નોલોજીસ સાથે હેવીવેઇટ ટોર્પિડોનું ઉત્પાદન તથા આધુનિકીકરણ કરવા માટે કરાર કર્યા છે. ઉપરાંત, સબમરીન વિરોધી યુદ્ધ પ્રણાલીઓ માટે મુંબઈ સ્થિત CFF ફ્લુઇડ કંટ્રોલ સાથે પણ ભાગીદારી કરવામાં આવી છે, જ્યારે ડીઆરડીઓ (DRDO) સાથે પણ વધુ જોડાણો પર વિચારણા ચાલી રહી છે.
ભારતનો નવો દરિયાઈ પ્લાન
આ કરાર હેઠળ બનનારી સબમરીનમાં એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેકનોલોજીનો સમાવેશ થવાની અપેક્ષા છે. આ અત્યાધુનિક તકનીકને કારણે પરંપરાગત ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ સમય સુધી પાણીની અંદર છુપાઈને રહી શકશે. આ ઉપરાંત, આ સબમરીન આધુનિક સેન્સર, ટોર્પિડો, ખતરનાક મિસાઇલો અને અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી સંપૂર્ણપણે સજ્જ હશે.
વર્તમાન સમયમાં ભારતીય નૌકાદળ પરંપરાગત સબમરીનના કાફલાની અછતનો સામનો કરી રહી છે, જ્યારે હિંદ મહાસાગરમાં ચીની સબમરીનની વધતી જતી પ્રવૃત્તિઓ ભારતની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે. આવા સંજોગોમાં જર્મની સાથેનો આ વિશાળ સોદો ભારતની દરિયાઈ તાકાત અને દેખરેખ ક્ષમતાઓમાં વધારો કરવામાં નિર્ણાયક સાબિત થશે.
આ પણ વાંચોઃ Census 2027: વસ્તી ગણતરીનો પહેલો તબક્કો શરૂ, 40 પ્રશ્નોનું લિસ્ટ પડાયું બહાર