પાકિસ્તાનના ફારૂકાબાદમાં આવેલા લગભગ 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબના કેટલાક ભાગો તોડી પાડવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ ભારત સરકારે કડક નારાજગી વ્યક્ત કરી છે. ભારતે આ ઘટનાને 'અતિશય ચિંતાજનક' અને "નિંદનીય તથા પૂર્વનિયોજિત તોડફોડ' ગણાવી છે.
https://twitter.com/ANI/status/2072323090789593352
જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ
વિદેશ મંત્રાલયે બુધવારે નિવેદન આપતાં કહ્યું કે સીખ સમુદાયના આ પવિત્ર સ્થળને નુકસાન પહોંચાડવું અત્યંત દુખદ છે અને તેની કડક નિંદા કરવામાં આવે છે. ભારતે પાકિસ્તાન સરકારને આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. ભારતે વધુમાં જણાવ્યું કે ગુરુદ્વારાના જે ભાગો તોડી પાડવામાં આવ્યા છે, તેમની તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણ કરવામાં આવે. સાથે જ સ્થાનિક પ્રશાસન અને ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ની નિષ્ક્રિયતા પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
ધાર્મિક સ્થળોની રક્ષા માટે કડક પગલાં લે
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો અને તેમના ધાર્મિક સ્થળો પર વારંવાર હુમલા અને નુકસાનના અહેવાલો સામે આવતા રહે છે, જે અત્યંત ચિંતાજનક છે. ભારતે કહ્યું કે આવી ઘટનાઓ ત્યાંની ધાર્મિક સહિષ્ણુતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ભારતે પાકિસ્તાન સરકારને અપીલ કરી છે કે તે પોતાના દેશમાં વસતા અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરે અને ધાર્મિક સ્થળોની રક્ષા માટે કડક પગલાં લે. સાથે જ વધતી ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક હિંસા પર સંપૂર્ણ રીતે નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો : India News: રામ મંદિરમાં દાન ચોરી કેસમાં આરોપીઓ પાસેથી પોલીસને શું મળ્યુ?