પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ 63,000 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને મોટો ઝટકો મળ્યો છે. બેલ્જિયમની અપીલ કોર્ટે ફરી એકવાર તેની જામીન અરજી ફગાવી દીધી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોક્સીએ 22 ઓગસ્ટના રોજ નવી જામીન અરજી દાખલ કરી હતી. તેણે કોર્ટને પોતાને નજરકેદ રાખવાનો વિકલ્પ પણ સૂચવ્યો હતો. પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેને જામીન પર મુક્ત કરવો જોખમી રહેશે.
અગાઉ પણ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી
તમને જણાવી દઈએ કે અગાઉ પણ બેલ્જિયમની એક કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)ની દલીલો સાથે સંમતિ વ્યક્ત કરી હતી કે જો ચોક્સી જેલમાંથી બહાર આવે છે તો તે બીજા દેશમાં ભાગી શકે છે, જેમ કે તે પહેલા કરી ચૂક્યો છે. સીબીઆઈએ બેલ્જિયમના ફરિયાદ પક્ષને વિગતવાર જણાવ્યું હતું કે ચોક્સી સતત કાયદાકીય પ્રક્રિયાથી બચી રહ્યો છે. તે ઘણા દેશોની વિવિધ અદાલતોના અધિકારક્ષેત્રમાંથી ભાગીને ધરપકડ ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણોસર ભારતીય એજન્સીઓએ બેલ્જિયમની કોર્ટને તેને જામીન ન આપવાની ભલામણ કરી હતી. નોંધનીય છે કે સીબીઆઈની પ્રત્યાર્પણ વિનંતીના આધારે ચોક્સીની બેલ્જિયમમાં એપ્રિલ 2025થી ધરપકડ કરવામાં આવી હતી.
આગામી સુનાવણી ક્યારે થશે?
ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોક્સીના પ્રત્યાર્પણ કેસ પર વિગતવાર દલીલો સપ્ટેમ્બરના મધ્યમાં બેલ્જિયમની કોર્ટમાં થશે. સીબીઆઈ બેલ્જિયમના ફરિયાદ પક્ષને તેને ભારત લાવવા માટે મજબૂત કાયદાકીય આધાર તૈયાર કરવામાં મદદ કરી રહી છે. તમને જણાવી દઈએ કે 66 વર્ષીય મેહુલ ચોક્સી ગીતાંજલી ગ્રુપના માલિક છે. તેમના પર તેમના ભત્રીજા નીરવ મોદી સાથે મળીને પીએનબીની મુંબઈ બ્રેડી હાઉસ શાખા સાથે 13,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. આ એક કથિત કૌભાંડ છે જે નકલી સોગંદનામા અને બેન્ક અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવ્યું છે, જેને ભારતનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ કહેવામાં આવે છે. મેહૂલ ચોક્સી લાંબા સમયથી ભારતીય એજન્સીઓથી બચી રહ્યો છે. તે પહેલા એન્ટિગુઆ ભાગી ગયો અને બાદમાં વિવિધ કાયદાકીય ગૂંચવણો દ્વારા પ્રત્યાર્પણ ટાળ્યું. હવે બેલ્જિયમ કોર્ટનો આ નિર્ણય ભારત માટે રાહતના સમાચાર છે, કારણ કે તે સૂચવે છે કે તેના પ્રત્યાર્પણનો માર્ગ થોડો સરળ બની શકે છે.