વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહા સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ, કોમર્શિયલ જહાજો પર હુમલા, માનવીય સહાય અને ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મુલાકાત દરમિયાન જયશંકરે કિવમાં બે દિવસ અગાઉ થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુનો ઉલ્લેખ કરીને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
https://twitter.com/DrSJaishankar/status/2095493209212264768
ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી
તેમણે ફરી એકવાર ભારતનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી અને કોઈપણ સમસ્યાનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી મળી શકે નહીં. તેમણે જણાવ્યું કે જો ભારત યુદ્ધ રોકવામાં કોઈપણ રીતે મદદ કરી શકે તેમ હોય તો તે સંવાદ અને કૂટનીતિ દ્વારા પ્રયાસો માટે તૈયાર છે. બંને નેતાઓ વચ્ચે કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે પણ ચર્ચા થઈ હતી. જયશંકરે જણાવ્યું કે ભારતીય નાવિકો વિવિધ દેશોના ધ્વજવાળા જહાજોમાં કામ કરે છે અને આવા હુમલાઓમાં ભારતીય નાવિકો પણ અસરગ્રસ્ત થયા છે. શિપિંગ પરના હુમલાથી ગ્લોબલ સાઉથના અનેક દેશોમાં ઈંધણ, ખાતર અને ખાદ્ય સામગ્રીની સપ્લાય પર અસર પડી રહી છે.
ચાર વર્ષમાં દ્વિપક્ષીય વેપાર પર અસર પડી
યુક્રેનને ભારત દ્વારા આપવામાં આવેલી માનવીય સહાય અંગે જયશંકરે જણાવ્યું કે અત્યાર સુધી 19 કન્સાઈનમેન્ટમાં કુલ 160 ટન સામગ્રી મોકલવામાં આવી છે. તેમાં જનરેટર, દવાઓ અને તબીબી સાધનોનો સમાવેશ થાય છે. ભારત-યુક્રેન વેપાર અંગે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, ખાતર, મશીનરી, રસાયણો અને કન્ઝ્યુમર ગુડ્સ જેવા ક્ષેત્રોમાં વેપાર થાય છે. યુદ્ધ અને લોજિસ્ટિક પડકારોને કારણે છેલ્લા ચાર વર્ષમાં દ્વિપક્ષીય વેપાર પર અસર પડી છે, જોકે તેમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે.
યુક્રેનના અધિકારીઓનો આભાર માન્યો
શિક્ષણ ક્ષેત્રે સહયોગ અંગે જયશંકરે યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ રાખવા બદલ યુક્રેનના અધિકારીઓનો આભાર માન્યો હતો. ભવિષ્યમાં ડિજિટલ ટેક્નોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ અને AI જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. મુલાકાતના અંતે જયશંકરે યુક્રેનના વિદેશમંત્રીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. બંને દેશો વચ્ચેની આગામી આંતર-સરકારી કમિશનની બેઠક ભારતમાં યોજવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : NTA દેશભરમાં બનાવશે સ્ટાન્ડર્ડ ટેસ્ટિંગ સેન્ટર્સનું નેટવર્ક, AICTEએ સંસ્થાઓ પાસેથી માગ્યો ડેટા