ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી મહિને ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે ભારતમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવી શકે છે. જો આ મુલાકાત થાય છે તો લગભગ સાત વર્ષ બાદ શી જિનપિંગની ભારતની મોટી મુલાકાત હશે.
બંને દેશો વચ્ચે સંબંધો સુધારા તરફ
મળતી માહિતી મુજબ ચીનના રાષ્ટ્રપતિની આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાના મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં થયેલી સૈન્ય અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં લાંબા સમયથી તણાવ રહ્યો છે. હવે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત આગળ વધી રહી છે.
2019માં ભારત આવ્યા હતા ચીનના રાષ્ટ્રપતિ
શી જિનપિંગ સાથે આશરે 400 અધિકારીઓનું મોટું પ્રતિનિધિમંડળ ભારત આવી શકે છે. 2019માં શી જિનપિંગની ભારત મુલાકાત વખતે તેમની સાથે 200થી ઓછા અધિકારીઓ આવ્યા હતા. ચીનના અધિકારીઓ દ્વારા દિલ્હીમાં હોટેલ અને સુરક્ષા વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોવાનો પણ અહેવાલ છે. BRICS સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં ચીનમાં
બંને નેતાઓ વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર શાંતિ જાળવવા, સરહદ વિવાદ અને બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલન જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ હાલમાં ચીનમાં છે અને બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. જોકે, ભારત કે ચીનના વિદેશ મંત્રાલયે શી જિનપિંગની ભારત મુલાકાત અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. BRICS સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીની પુષ્ટિ થઈ ચૂકી છે અને તેમના સ્વાગત માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : Punjabની તમામ 117 સીટ પર ચૂંટણી લડશે ભાજપ, બી.એલ.સંતોષે કરી જાહેરાત