ઉત્તર પ્રદેશમાં ભેળસેળિયા દૂધ અને દૂધની નકલી બનાવટો સામે યોગી આદિત્યનાથ સરકારે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને માવા જેવા ઉત્પાદનો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ નો હવાલો આપતાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સને તેમના મૂળ અને કુદરતી સ્વરૂપમાં જ ગ્રાહકો સુધી પહોંચાડવા ફરજિયાત છે.
યોગી સરકારનો મોટો નિર્ણય
સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લેવાયેલા સેમ્પલના નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા હતા, જેમાં ડેરી પ્રોડક્ટ્સમાં વનસ્પતિ ફેટ, સોયા પ્રોડક્ટ્સ તેમજ પ્રોસેસ્ડ પાઉડર ઉમેરીને નકલી પનીર અને ઘી બનાવવામાં આવતું હોવાનું પકડાયું હતું. તપાસ અધિકારીઓએ રિપોર્ટ સબમિટ કર્યો હતો કે રાજ્યના કેટલાક ઉત્પાદકો દૂધમાં ટેલ્કમ પાઉડર, ડિટરજન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, પ્રવાહી ગ્લુકોઝ, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ન્યુટ્રલાઇઝર જેવા ઘાતક રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારના રસાયણો માનવ શરીર અને ખાસ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે.
