રવિવારે ભારતની ત્રણેય સેનાના વડાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળની 9 મે 2025ની રાત્રે પાકિસ્તાનની જમીન પર નક્કી કરેલા લક્ષ્યોને નિશાન બનાવવા અને તેનો નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયારી હતી. જેમાં તેની દરિયાઈ સરહદ,કરાચી બંદરમાં તેના લશ્કરી ઠેકાણાઓનો સમાવેશ થાય છે. નૌકાદળ ફક્ત સરકારના આદેશની રાહ જોઈ રહ્યું હતું. વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે કહ્યું કે, ભારતીય નૌકાદળ તમામ કાર્યવાહી માટે સંપૂર્ણપણે સક્ષમ છે.


સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે નેવીના જવાનો તૈનાત હતા

વાઇસ એડમિરલ એ.એન .પ્રમોદે જણાવ્યું હતું કે, 22 એપ્રિલના રોજ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા પછી ભારતીય નૌકાદળે તાત્કાલિક તેના કર્મચારીઓ, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સંપૂર્ણ યુદ્ધ તૈયારીમાં તૈનાત કર્યા હતા. આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અમે અરબી સમુદ્રમાં અમારા શસ્ત્રો અને યુદ્ધ જહાજોની તૈયારીઓને એકત્ર કરી દીધી હતી અને અમારા દળો ઉત્તર અરબી સમુદ્રમાં દુશ્મન સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે તૈનાત હતા .જેથી કરાચી સહિત સમુદ્ર અને જમીન પર દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરી શકાય.

આખી સ્થિતિ પર અમે નજર રાખી હતી

ડીજીએનઓએ કહ્યું, ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને તેના હવાઈ એકમોને રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પાડી.મોટે ભાગે બંદરોની અંદર અથવા દરિયાકાંઠાની ખૂબ નજીક જેના પર અમે સતત નજર રાખી હતી. પહેલા દિવસથી જ અમારો પ્રતિભાવ પ્રમાણસર અને જવાબદાર રહ્યો છે.પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે ભારતીય નૌકાદળ સમુદ્રમાં તૈનાત રહે છે.7 મેના રોજ ભારતીય સેના અને વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા,જેમાં 100થી વધુ જૈશ,લશ્કર અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતાં.


  • Follow us on: