ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાને વતન ગુજરાતંની મુલાકાત લીધી હતી. હવે તેઓ 29 અને 30 મી મેના બિહારના પ્રવાસે જઈ રહ્યા છે. પટણાના નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કરશે. રેલીઓ રોડ શો કરશે અને આતંકવાદની કિંમત ચૂકવનારાઓના પરિવારોને મળવાના છે.
વડાપ્રધાનની બિહારની બે દિવસીય મુલાકાત અતિ વ્યસ્ત રહેવાની છે. તેમણે 24 મી એપ્રિલના બિહારના મધુબનીથી પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો કે, આતંકવાદીઓના ઠેકાણા જમીનદોસ્ત કરી કરી દેવાશે. આ સંકલ્પ પૂરો થયો છે ત્યારે બિહારની ભૂમિ પર તેઓ પાછા ફરવાના છે. આતંકવાદ વિરુદ્ધ ભારતના 'ઓપરેશન સિંદૂર' વિશે સ્થાનિક લોકોને મોટો સંદેશ આપી શકે છે.
સિક્કિમ રાજ્ય દિવસની સભામાં રહેશે હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 મેના સવારે 10:45 વાગ્યે સિક્કિમ પહોંચીને પલ્લાજોર સ્ટેડિયમ ખાતે ‘સિક્કિમ રાજ્ય દિવસ’ નિમિત્તે જાહેરસભાને સંબોધિત કરવાના છે. ત્યારબાદ બપોરે તેઓ પશ્ચિમ બંગાળના અલીપુરદુઆરના જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
પટના એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદઘાટન
બંગાળથી બિહાર સાંજે પહોંચશે, સાંજે 5 વાગ્યે પટના એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. ત્યાં એક જાહેરસભાને સંબોધિત કરીને ભાજપ મુખ્યાલય સુધી એક વિશાળ રોડ શો કરશે, જે એક કલાકથી વધુ સમયનો હશે. રાત્રે પટનામાં રોકાશે.
30 મીએ બિહારના બખ્તિયારપુરમાં રેલી
30 મીએ તેઓ બિહારના બખ્તિયારપુરમાં પીએમ મોદીની જાહેરસભા અને રેલી કરવાના છે, એમ મનાઈ રહ્યું છે કે તેઓ આ રેલી દ્વારા વડા પ્રધાન 'ઓપરેશન સિંદૂર' અંગે એક મોટો સંદેશ આપી શકે છે. વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી મહત્વની ગણવામાં આવે છે.
પહેલગામ હુમલામાં શહીદના પરિવારને મળશે
30 મેના બપોરે ઉત્તર પ્રદેશના કાનપુર જશે, જ્યાં તેઓ પહેલગામમાં થયેલા હુમલામાં શહીદ થયેલા શુભમ દ્વિવેદીના કુટુંબીજનોને મળવાના છે. ત્યારબાદ કાનપુરના CSA ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે.
ભોપાલમાં 31 મીએ મહિલાઓ માટે વિશેષ સભા
31 મેના મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં મહિલાઓ માટે આયોજિત જાહેરસભાને સંબોધશે. 'ઓપરેશન સિંદૂર'ને કારણે આ કાર્યક્રમનું વિશેષ મહત્વ છે.