ભારતીય રેલવે આ વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ અવરજવર માટે 519 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. આ વિશેષ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બરની વચ્ચે ચલાવવામાં આવશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર રેલવે દ્વારા દર વર્ષે તહેવારોના અવસર પર વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે. આ વર્ષે આ સ્પેશિયલ ટ્રેનોની સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેમાંથી પશ્ચિમ રેલવે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 1,382 ટ્રીપ કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વધુ છે.


આ વિશેષ ટ્રેનો અંદાજે 6000 ટ્રીપ કરશે

ઉલ્લેખનીય છે કે દુર્ગા પૂજા, દિવાળી અને છઠના તહેવારોમાં લાખો મુસાફરો મુસાફરી કરે છે. મુસાફરોની વિશાળ ભીડને સરળ અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે રેલવેએ આ વર્ષે પણ વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી છે. બે મહિનાના સમયગાળા દરમિયાન આ વિશેષ ટ્રેનો અંદાજે 6000 ટ્રીપ કરશે અને મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડશે. ગયા વર્ષે પણ ભારતીય રેલવે દ્વારા મોટી સંખ્યામાં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી અને આ ટ્રેનોએ કુલ 4,429 ટ્રીપ કરી હતી. આ ટ્રેનો દ્વારા લાખો મુસાફરોને આરામદાયક મુસાફરીની સુવિધા મળી હતી.

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

દર વર્ષે દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજાના અવસર પર દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જાય છે. ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો માટે આ તહેવારો માત્ર ધાર્મિક મહત્વ જ નથી રાખતા પરંતુ પરિવારોને મળવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. દર વર્ષે તહેવારોમાં મુસાફરોના ધસારાને કારણે મોટાભાગની ટ્રેનોમાં ટિકિટ બે-ત્રણ મહિના અગાઉથી વેઇટિંગ લિસ્ટમાં આવી જાય છે. તેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ તહેવારોના અવસરે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા 86 વિશેષ ટ્રેનો ફાળવવામાં આવી

આ વર્ષે પશ્ચિમ રેલવેએ 86 વિશેષ ટ્રેનોને સૂચિત કરી છે, જે 1,380થી વધુ ટ્રીપ કરશે. ગયા વર્ષની સરખામણીમાં પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન મુસાફરીની વધતી માંગને પહોંચી વળવા માટે 21 વધુ ટ્રેનો ઉમેરી છે અને અંદાજે 270 વધારાની ટ્રીપ વધારી છે. આ ટ્રેનો ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ વગેરે સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે મુંબઈથી દેશના વિવિધ સ્થળો માટે 14 જોડી વિશેષ ટ્રેનો ચલાવશે.

સુરત/ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો ફાળવાઈ

આવી રીતે મુસાફરોની વિશાળ માગને પહોંચી વળવા માટે સુરત/ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જ્યારે 20 જોડી વિશેષ ટ્રેનો સુરત/ઉધના અથવા ભેસ્તાનમાંથી પસાર થઈ રહી છે. ગુજરાતના અન્ય સ્ટેશનો જેમ કે વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ, ભાવનગર ટર્મિનસ વગેરેથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઈન્દોર, ડો. આંબેડકર નગર અને ઉજ્જૈનથી પણ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

  • Follow us on: