- કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની તબયત લથડી
- દિલ્હી AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ
- રાજનાથ સિંહને કમરના દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રાજનાથ સિંહને કમરના દુખાવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં કરાયા દાખલ
મળતી માહિતી મુજબ, કેન્દ્રીય રક્ષા રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે. ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સાંસદ છે.
રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ યુપીના વારાણસી જિલ્લાના ભાભોરા ગામમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી છે. એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર રાજનાથ આજે દેશની રાજનીતિમાં એક મોટું નામ છે, તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
રાજનાથ 13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા હતા
રાજનાથ સિંહ માત્ર 13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા હતા. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ જયપ્રકાશ નારાયણના આંદોલનથી ખૂબ પ્રભાવિત હતા. 1975માં જ્યારે ઈમરજન્સી લાગુ કરવામાં આવી ત્યારે રાજનાથને પણ જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
રાજનાથ વર્ષ 2000માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા
1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર ઉત્તર પ્રદેશમાં પોતાની સરકાર બનાવી ત્યારે રાજનાથને શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2000 માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા. સિંહ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતની સરકાર સાથે સત્તામાં આવ્યો ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.