- 8થી વધુનાં મોતની આશંકા, અનેક લોકો ઘાયલ
- CM ધામીએ તપાસના આદેશ આપ્યા
- રાહત-બચાવ કામગીરી શરૂ
ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ પાસે રંટોલી ખાતે બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈ જતો એક ટેમ્પો ટ્રાવેલર વાહન અલકનંદા નદીમાં પડી ગયું હતું. આ ઘટનામાં 8થી વધુ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની આશંકા છે. સાત મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનાની જાણકારી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડ્યું અને અલકનંદા નદીમાં ખાબક્યું.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ
વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ જ્યારે તેની જાણ કરી તો તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
ટેમ્પો દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહ્યો હતો
જે વાહનને અકસ્માત થયો તે ટેમ્પો દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહ્યો હતો. આ લોકો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા. આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. આશંકા છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હશે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
સીએમ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના અત્યંત દર્દનાક સમાચાર મળ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે.