- નીટ યુજી પેપરલીક મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
- સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કેન્દ્રીય મંત્રીએ આપી પ્રતિક્રિયા
- બીજીવાર પરીક્ષા ન કરવાનો સુપ્રિમ કોર્ટે કર્યો નિર્ણય
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિના કેસમાં સુપ્રિમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. જેને લઇને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની પ્રતિક્રિયા સામે આવી છે. શિક્ષણ મંત્રીએ 'X' પર પોસ્ટ કરતા કહ્યું કે NEET-UG પરીક્ષામાં કોઈપણ પદ્ધતિસરની ચૂક ન હોવી અને એટલે જ બીજી વખત પરીક્ષા ન કરાવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સરકારનું વલણ સાચુ સાબિત થયુ છે.
શિક્ષણમંત્રીએ આ અંગે પોસ્ટ કરીને જણાવ્યું કે સરકાર છેડછાડ મુક્ત, પારદર્શી અને ક્ષતિ રહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. જેને સુનિશ્ચિત કરવા માટે અમે વિશેષજ્ઞોની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણોને જલ્દીથી લાગુ કરીશું. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય એ દુષ્પ્રચારને સંપૂર્ણ રીતે ફગાવી દે છે જે વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવતો હતો. અમે ન્યાય આપવા અને લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવા બદલ સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે માનનીય સુપ્રીમ કોર્ટના પત્રનો અક્ષરશ: અમલ કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે અસત્યના વાદળો સત્યના સૂર્યને થોડા સમય માટે છુપાવી શકે છે, પરંતુ સત્યનો હંમેશા વિજય થાય છે.
શું કહ્યું સુપ્રિમ કોર્ટે ?
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે કે આ કોઈ સિસ્ટમની નિષ્ફળતા નથી. પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી મર્યાદિત છે. અમે માળખાકીય ખામીઓ પર ધ્યાન આપ્યું છે. કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે SOP તૈયાર કરવાની જવાબદારી સરકાર અને NTAની છે.
કોર્ટે NTAને આપી આ સલાહ
સુનાવણી દરમિયાન કોર્ટે NTAને પરીક્ષા યોજવાની પદ્ધતિ બદલવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, એજન્સીએ પ્રશ્નપત્ર સેટ થવાથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સખત તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ. પ્રશ્નપત્રો વગેરેનું સંચાલન ચકાસવા માટે SOP બનાવવી જોઈએ. કાગળો વહન કરવા માટે, ખુલ્લી ઈ-રિક્ષાને બદલે રિયલ ટાઈમ લોકવાળા બંધ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પ્રાઈવસી કાયદાનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જો કોઈ અનિયમિતતા હોય તો તેને પકડી શકાય. ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ્સ અને સાયબર સિક્યોરિટીના રેકોર્ડિંગની વ્યવસ્થા કરો જેથી ડેટા સુરક્ષિત થઈ શકે.
પેપર લીકના પૂરતા પુરાવા નથીઃ સુપ્રીમ કોર્ટ
પેપર લીકનો મુદ્દો માત્ર પટના અને હજારીબાગ પૂરતો મર્યાદિત હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે. કોર્ટે કહ્યું હતું કે પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પૂરતા પુરાવા નથી. NEET UG ની પરીક્ષા 5મી મેના રોજ યોજાઈ હતી. આ પછી, તેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ આવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.